નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ
- Local News
- September 12, 2026
- No Comment
રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા
નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચેરમેન રશ્મિકાંત પટેલ અને મહામંત્રી યોગેશભાઈ જે. નાયકના નેતૃત્વ હેઠળ 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. ચક્ષુદાનના ઉમદા હેતુને વધુ વેગ આપવા માટે તાજેતરમાં મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મહારેલીમાં લોકપ્રિય ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કરમઠ કાર્યકર તથા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત વિવિધ સેવા સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંત પુનિત ચક્ષુ બેંકના ચેરમેન યોગેશ જશુભાઈ નાયકે ચક્ષુદાનના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર પૈકી માત્ર બે ટકા લોકો ચક્ષુદાન કરે તો સમગ્ર દેશમાં કીકીની ખામીઓ દૂર કરવામાં મોટી મદદ મળી શકે છે. તેમણે વધુમાં લોકોને ચક્ષુદાન માટે સંકલ્પ લેવા અપીલ કરી હતી.
રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન રશ્મિકાંત પટેલે જણાવ્યું હતું કે, નવસારીની રોટરી હોસ્પિટલ વિશ્વસ્તરે પોતાની સેવા માટે જાણીતી છે અને સેવા કાર્યને સમર્પિત રહીને કાર્ય કરી રહી છે. તેમણે વધુમાં વધુ લોકો ચક્ષુદાનનો સંકલ્પ કરે તેવી અપીલ કરી હતી.
મહામંત્રી યોગેશભાઈ નાયકે જણાવ્યું કે, 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા દરમિયાન કુલ 1,748 જેટલા ચક્ષુદાન સંકલ્પો નોંધાયા છે. આ અભિયાનને સફળ બનાવવા રોટરી હોસ્પિટલના શીલાબેન પટેલ, કિરીટભાઈ બારોટ સહિત સાથી કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.