
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ સંપન્ન ૨૯ તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૭ સુવર્ણચંદ્રકો અને ૭૨૩ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવીઓ એનાયત કરાઇ
- Local News
- March 3, 2023
- No Comment
કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે અઢારમો પદવીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૮ મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.
રાજયપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સબળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહયાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઇ રહયાં છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહયો છે અને ઉત્પાદન ઘટતું રહયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવો આજના સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. તેમણે સમર્થ અને સશકત રાષ્ટ્રનાં નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જમીનમાં મિત્ર જીવોની સતત વૃધ્ધિ થાય છે તેનું માર્ગદર્શન આપતાં રાજયપાલએ જણાવ્યું હતું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુંઓની વૃધ્ધિ થાય છે. અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે. રાજયપાલએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો નથી. જયારે પ્રાકૃતિક કૃષિ યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો થતો નથી.
ગુજરાતમાં સવા ત્રણલાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે તેનો ઉલ્લેખ કરી રાજયપાલએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જનઆંદોલનને નવું બળ મળ્યું છે.
રાજયપાલએ આ પ્રસંગે પદવીદાન પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી રાષ્ટ્ર અને સમાજનાં કલ્યાણ માટે પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ઉદ્યમી જગતના તાતની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર પગલાં લઇ રહી છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે. આત્મનિર્ભર ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મનિર્ભર બને તે જરૂરી છે. સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્ત કૃષિ ઉપજ પેદા કરવા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની ઝાંખી કરાવી હતી. ડૉ. પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રેના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા શીખ આપી હતી.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવસારી કૃષિ યુનિવર્સિટીના વાર્ષિક વહીવટી અહેવાલ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્દ હસ્તે ૨૯ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ ૪૭ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના પ્રોફેસરોને બેસ્ટ ટીચર તરીકેના એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એચ.વી.પંડયાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે રાજયની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ વિવિધ ફેકલ્ટીઓના વડાઓ, પ્રાધ્યાપકો,વૈજ્ઞાનિકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.