કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોરમા ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમ યોજાઈ
- Travel
- January 19, 2026
- No Comment
નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), નવસારી દ્વારા આલીપોર સ્થિત કે. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રિદિવસીય આચાર્ય વ્યવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કલ્પના ચાવલા વિકાસ સંકુલ–2 હેઠળની શાળાઓના આચાર્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમના પ્રથમ દિવસે ઉદ્ઘાટન બેઠક શ્રીમતી દર્શિકાબેનના સભા સંચાલન સાથે પ્રાર્થના દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી સફી એમ. વ્હોરા સાહેબે શબ્દ આવકાર કરી ડાયેટ નવસારીથી ઉપસ્થિત રાજેશભાઈ પટેલ તેમજ તાલીમના કે.આર.પી. અનિલભાઈ ટંડેલ (તલાવચોરા હાઈસ્કૂલ), આર.પી. દર્શનભાઈ દેસાઈ (પીપલગભાણ હાઈસ્કૂલ), આર.પી. સંજયસિંહ પરમાર (રાનકુવા હાઈસ્કૂલ) અને આર.પી.હર્ષદસિંહ પરમાર (દિગેન્દ્રનગર હાઈસ્કૂલ) સહિત મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
સ્વાગત વિધિ બાદ તાલીમના પ્રારંભે કે.આર.પી. શ્રી અનિલભાઈ ટંડેલ દ્વારા જવાબદારીયુક્ત નેતૃત્વ અને શાળાનું વહીવટી વ્યવસ્થાપન વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના દ્વિતીય દિવસે કે.આર.પી. પરેશભાઈ દેસાઈ (ગુરુકુલ સુપા વિદ્યાલયના આચાર્ય) દ્વારા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ તથા ટીમ વર્ક મેનેજમેન્ટ વિષય ઉપર વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
દ્વિતીય દિવસની અંતિમ બેઠકમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આચાર્યોને અસરકારક નેતૃત્વ માટે અપનાવવાની જરૂરી કાળજી અને વહીવટી દૃષ્ટિકોણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમના તૃતીય દિવસે કે.આર.પી. ઉદય નાયક દ્વારા શાળા વિકાસ પ્રવૃત્તિઓ અને આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્રણેય દિવસ દરમિયાન સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી બાયસેગ દ્વારા પ્રસારિત તાલીમ પણ લેવામાં આવી હતી.
આર.પી. અને કે.આર.પી.ઓ દ્વારા તાલીમ દરમિયાન રોલ પ્લે, પ્રેઝન્ટેશન, જૂથ ચર્ચા તથા રમત આધારિત પ્રવૃત્તિઓ દ્વારા પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. અંતિમ દિવસે યોજાયેલી ભાવ-પ્રતિભાવ બેઠકમાં આલીપોર હાઈસ્કૂલના આચાર્ય શ્રી સફી એમ. વ્હોરા સાહેબે ત્રણ દિવસ સુધી સુચારુ રીતે તાલીમમાં જોડાયેલા તમામનો કાવ્યાત્મક શૈલીમાં આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ડી.ઈ.ઓ.જયેશભાઈ ચૌધરીની પારદર્શક વહીવટી નીતિના વખાણ કર્યા હતા.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી તથા પીપલગભાણ હાઈસ્કૂલના આચાર્ય દર્શનભાઈ દેસાઈએ સમગ્ર તાલીમના પ્રતિભાવ રૂપે આલીપોર હાઈસ્કૂલની ઉત્તમ વ્યવસ્થા અને આયોજનની પ્રશંસા કરી હતી. ડાયેટ નવસારીથી પધારેલ પ્રાધ્યાપક રાજેશભાઈ પટેલે એન.ઈ.પી. 2020ના સંદર્ભે શૈક્ષણિક કાર્યશૈલી પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. અંતમાં આચાર્ય સફી એમ. વ્હોરા સાહેબે તાલીમ વ્યવસ્થામાં સહયોગ આપનાર તમામ સારસ્વત મિત્રોને અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.