નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી
- Local News
- May 18, 2026
- No Comment
નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ખાસ વાત એ રહી કે, સત્તાવાર ચાર્જ લેતા પહેલાં જ વહેલી સવારે 7 વાગ્યે તેમણે તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે ઓન-ફિલ્ડ મીટિંગ યોજી શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન કમિશનરે શહેરની સ્થાનિક સમસ્યાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠો, ડ્રેનેજ સહિતના મુદ્દાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ મહાનગરપાલિકા કચેરીની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય નવસારીને વર્લ્ડ ક્લાસ લેવલનું અને દેશભરમાં નામના મેળવે તેવું આદર્શ શહેર બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે નવસારી એક વિકાસશીલ શહેર છે અને યોગ્ય આયોજન તથા ઝડપી કામગીરી દ્વારા શહેરના વિકાસને વધુ વેગ આપવામાં આવશે.
કમિશનરની 5 મુખ્ય પ્રાથમિકતાઓ:
•દરેક નાગરિક સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું
•શહેરમાં સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવી
•રસ્તાઓ અને ફૂટપાથને ધૂળમુક્ત બનાવવું
•નવસારીને સ્વચ્છ અને હરિયાળું ગ્રીન સિટી બનાવવું
•આવાસ યોજનાઓ દ્વારા ઝૂંપડપટ્ટી મુક્ત શહેર તરફ આગળ વધવું
કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે નવી મહાનગરપાલિકા હોવાને કારણે હાલ સ્ટાફ અને કર્મચારીઓની અછત છે, પરંતુ વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરી જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી શહેરના વિકાસ કાર્યોમાં કોઈ અવરોધ ન આવે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી શકે.