નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો
- Local News
- July 19, 2026
- No Comment
નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે તેમજ સેકડો લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવા બદલ ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના સ્થાપક લલિતભાઈ પંડ્યા, એનજે ગ્રુપના જીગ્નેશ દેસાઈ તથા હાર્દિક નાયક દ્વારા મહેમાનોના પ્રાસંગિક પરિચયથી કરવામાં આવી હતી. એસોસિએશનના વર્તમાન પ્રમુખ રોહન સુલેએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા ઉદ્યોગપતિ ભુરાલાલ શાહ અને નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા વિશેષ અતિથિ તરીકે હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.
નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજદિન સુધી અંદાજે 400 જેટલા ઉદ્યોગ, રોજગાર, સ્વાવલંબન અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા છે, જેના થકી લગભગ એક લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ લાભ મળ્યો છે. એસોસિએશનને અખિલ ભારતીય સ્તરે ચાર વખત શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. અગાઉ સમાજોપયોગી ઉદ્યોગપતિ તરીકે જીગ્નેશ દેસાઈ (એનજે ગ્રુપ), ડૉ. દિનેશ જોશી (બીકોન ગ્રુપ), વિજય કંસારા (NIF કંપની) અને હિમાંશુ પટેલ (HLE ગ્રુપ) સહિતના ઉદ્યોગપતિઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે.
સન્માન સ્વીકાર્યા બાદ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખે જણાવ્યું હતું કે તેમના દાદા બાગમલભાઈ પરીખે લગભગ 75 વર્ષ પહેલાં માત્ર બે ડાયમંડ કટર (રત્નકલાકાર) સાથે નવસારીમાં હીરા ઉદ્યોગની શરૂઆત કરી હતી. આજે ચોથી પેઢી પ્રમાણિકતા, નિષ્ઠા, માનવતા અને રોજગાર સર્જનની ભાવના સાથે વિશ્વભરમાં મહેન્દ્ર બ્રધર્સનું નામ ગૌરવપૂર્વક આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે, “અમને ઓળખ નવસારીએ આપી છે અને આ ધરતીનું ઋણ ચૂકવવાનો અમે સતત પ્રયાસ કરીએ છીએ. આ સન્માન બદલ સમગ્ર પરિવાર આપ સૌનો ઋણી છે.”
મુખ્ય વક્તા પરિમલ નથવાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતને વિશ્વમાં અગ્રણી સ્થાન અપાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતને ‘જગતગુરુ’ બનાવવા માટે સૌએ મળીને કાર્ય કરવું જરૂરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “નવસારી બીજું સુરત કે બીજું જામનગર કેમ ન બની શકે?” અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો સૌ સાથે મળીને કાર્ય કરશે તો નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેઓ સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપશે.
ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પોતાના પ્રવચનમાં પરિમલ નથવાણી, મિલન પરીખ તથા રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ હેમંતભાઈ દેસાઈના સામાજિક યોગદાનની પ્રશંસા કરી હતી.
નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયાએ પોતાના સંબોધનમાં એનજે ગ્રુપના જીગ્નેશ દેસાઈ, હાર્દિક નાયક સહિતના સમાજસેવકો દ્વારા બંદર રોડ પર વિકસાવવામાં આવેલા નવા વનના નિર્માણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે નવસારી મહાનગરપાલિકાને રાજ્યની શ્રેષ્ઠ મહાપાલિકા બનાવવા માટે સમાજના દરેક વર્ગનો સહયોગ જરૂરી છે.
કાર્યક્રમના અંતે એસોસિએશનના સેક્રેટરી કેયુર દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવો તથા સૌનો આભાર વ્યક્ત કર્યો.