નવસારી જિલ્લામાં ઓગષ્ટ માસમાં ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩ ’ અંતર્ગત ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સર્વેની કામગીરી કરાશે
- Local News
- July 20, 2023
- No Comment
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન–ગ્રામીણ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લાના પ્રત્યેક ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ ની કામગીરી હાથ ધરાનાર છે. ખુલ્લામાં શૌચક્રિયા મુકત સ્થિતિને ટકાવી રાખવાની કામગીરી સહિત ઘન અને પ્રવાહી કચરાના નિકાલ અંગેના વ્યવસ્થાપનને સુનિશ્વિત કરવાની સાથે સાર્વત્રિક રીતે ગામ સ્વચ્છ બને અને ઓડીએફ પ્લસનો દરજ્જો મેળવે તે સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩” કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. જે અન્વયે નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ભારત સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે.
નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ગ્રામ્યકક્ષાએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની ભાવના કેળવવાના ઉમદા આશય સાથે ગ્રામ પંચાયત, શાળા, આંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોએ ભીંતચિત્રો દ્વારા સ્વચ્છ સર્વેક્ષણનું બહોળા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં દરેક સ્થળે ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન, મળ-કાદવનું વ્યવસ્થાપન, સ્વચ્છતા અંગેની જાગૃતિ, ઓ.ડી.એફ. પ્લસ ગામ અંગે સમુદાયમાં જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
ગ્રામજનો પટાંગણ-શેરી સ્વચ્છ રાખે, સાર્વજનિક સ્થળોની સ્વચ્છતા જળવાય, સ્વચ્છતાના આ જનઆંદોલનમાં સૌ સહભાગી બને અને સર્વેક્ષણ ટીમને પુરતો સહયોગ આપી ગામને નંબર -૧ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.