સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”
- Local News
- January 28, 2026
- No Comment
નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં ચાલી રહેલા ટોયલેટ બ્લોકના બાંધકામને આજે બપોરે નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા અચાનક અટકાવવામાં આવતા મામલો ગરમાયો હતો.
શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા ટોયલેટ બ્લોક બનાવવા માટે પાયા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, બપોરના સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ અને દબાણ વિભાગના સ્ટાફ ભારે વાહનો સાથે શાળા પરિસરમાં પ્રવેશ્યા અને બાંધકામ અટકાવી કન્સ્ટ્રક્શન સામાન જપ્ત કરવાની તૈયારી કરતાં શાળા સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

કમિશનરના મૌખિક આદેશથી કામગીરી અટકાવવાનો આક્ષેપ
શાળા સંચાલકોનો આક્ષેપ છે કે પાલિકાના અધિકારીઓએ કોઈ લેખિત નોટિસ કે આદેશ વગર માત્ર કમિશનરના મૌખિક આદેશના હવાલા આપીને બાંધકામ રોક્યું છે.આ ઘટનાથી શાળામાં ભયનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ સંચાલકોનું કહેવું છે.
શું છે સમગ્ર મામલો?
શાળાના પ્રિન્સિપાલ અતુલ ગજેરાએ જણાવ્યું કે, શાળાના ખાનગી પ્રીમાઈસીસમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવા શૌચાલય બ્લોકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ માત્ર પાયા ખોદવાની કામગીરી જ ચાલી રહી હતી. શાળામાં આશરે 2000 દીકરીઓ અને 2000 દીકરાઓ એમ કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં હાલના ટોયલેટ બ્લોક પૂરતા નથી.
આ દરમિયાન અચાનક પાલિકાના અધિકારીઓ સાથે લગભગ 25 જેટલા લોકોનું ટોળું ભારે વાહનો સાથે શાળામાં ધસી આવતા બાળકો અને સ્ટાફમાં ડર ફેલાયો હોવાનું શાળા સંચાલકોનું કહેવું છે. શાળાના સંચાલકોનો દાવો છે કે પાછળ આવેલા એપાર્ટમેન્ટના 3 થી 4 રહીશોની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
શાળા સંચાલકોએ જણાવ્યું કે ખાનગી જમીનમાં બાંધકામ કરવાનો અમારો અધિકાર છે, છતાં અમને જગ્યા બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અમે તમામ કાયદાકીય નિયમોનું પાલન કરવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા તૈયાર છીએ. મૌખિક આદેશના આધારે કામ અટકાવવું યોગ્ય નથી, તેથી અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.
પાલિકાનો પક્ષ શું કહે છે?
આ મામલે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ જણાવ્યું કે, “આ બાંધકામ અંગે અમને લેખિતમાં અરજી મળી હતી. જેના આધારે શાળામાં જઈ કામગીરી અટકાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલક મંડળ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા દબાણ વિભાગનો સ્ટાફ મોકલીને કામ અટકાવવામાં આવ્યું છે. જો શાળા સંચાલકો કાયદેસરની પરવાનગી માટે અરજી કરશે તો નિયમ અનુસાર પરવાનગી આપવા અમે બંધાયેલા છીએ.”

