રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે
- Local News
- September 18, 2026
- No Comment
રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે
નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુવર્ણ જયંતિ વર્ષમાં પ્રવેશી રહી છે.આ નિમિત્તે આગામી 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ તીઘરાવાડી ખાતે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે.કાર્યક્રમ દરમિયાન છેલ્લા 50 વર્ષ દરમિયાન હોસ્પિટલ ખાતે સેવા આપી ચૂકેલા અને હાલ સેવા આપી રહેલા અંદાજે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરવામાં આવશે.
રોટરી આઈ હોસ્પિટલની સ્થાપના વર્ષ 1977માં સ્વ. ડો. રતિલાલ ગોપાળજી પટેલ,સ્વ. જીવણભાઈ ઉકાભાઈ પટેલ,સ્વ.ડો. ઠાકોરભાઈ રાણા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી હોસ્પિટલ દ્વારા નેત્રનિદાન અને સારવાર ક્ષેત્રે વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે.
હોસ્પિટલના સેક્રેટરી યોગેશ જશુભાઈ નાયકે જણાવ્યું કે રોટરી આઈ હોસ્પિટલ રોટરીના વૈશ્વિક નકશામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને ભારતની સેવા-કેન્દ્રિત આંખની હોસ્પિટલોમાં ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 40 લાખથી વધુ દર્દીઓએ હોસ્પિટલની સેવાઓનો લાભ લીધો છે.જ્યારે આશરે 5 લાખ દર્દીઓની આંખની વિવિધ સર્જરી વિનામૂલ્યે અથવા નજીવા દરે કરવામાં આવી છે.
હોસ્પિટલ દ્વારા ભારતમાં જ નહીં પરંતુ નાઈજીરિયા જેવા દેશોમાં પણ આંખના ઓપરેશન સહિતની સેવાઓ આપી દર્દીઓને દૃષ્ટિનો લાભ અપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
નેત્રદાન ક્ષેત્રે પણ હોસ્પિટલની કામગીરી નોંધપાત્ર રહી છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 36 હજારથી વધુ ચક્ષુદાન મેળવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 17 હજારથી વધુ નેત્રનિદાન કેમ્પો યોજાયા હોવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું છે.
રોટરી આઈ હોસ્પિટલમાં આધુનિક સાધનો સાથે વિવિધ પ્રકારની આંખની સારવાર અને સર્જરી કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દર્દીઓ માટે વિવિધ પ્રકારની નેત્રસેવાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલ દ્વારા ઓપ્ટોમેટ્રી અને ઑફ્થેલ્મોલોજી ક્ષેત્રે શૈક્ષણિક અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે.
હોસ્પિટલને બીલીમોરાના સખાવતી લીલાવતીબેન મોહનલાલ શાહ,ગોપાલદાદા ભક્ત,માલીબા ભક્ત,નારણભાઈ ભક્ત તથા તેમના પરિવારો તરફથી આર્થિક સહયોગ મળતો રહ્યો હોવાનું જણાવાયું છે.
સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ભારતના જાણીતા નેત્રરોગ નિષ્ણાંત ડો. ભારતીબેન લવિંગીયા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રેઝરર રણજીતભાઈ એમ. શાહ સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહેશે.
રોટરી આઈ હોસ્પિટલના 50 વર્ષના સેવાકાળની સિદ્ધિઓને યાદ કરવા અને વર્ષોથી હોસ્પિટલ સાથે જોડાયેલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું સન્માન કરવા યોજાનાર આ કાર્યક્રમને સુવર્ણ જયંતિની ઉજવણીના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવામાં આવી રહ્યો છે.