નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ અંગે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સ્થળ મુલાકાત લીધી
- Local News
- February 13, 2024
- No Comment
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે સંભવિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. જે અન્વયે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે,નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહીત જિલ્લા વહીવટીતંત્રના વડાપ્રધાન ના કાર્યક્રમના વિવિધ સમિતિના અધિકારીઓએ વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમની સ્થળ મુલાકાત લીધી હતી. અને સ્થળ પર અધિકારીઓ સાથે કાર્યક્રમ સંદર્ભે ઉપયોગી માહિતી તેમજ જરૂરી વ્યવસ્થાની ચર્ચા કરી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક વ્યવસ્થા, પરિવહન, પાર્કિંગ, હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ, આનુષાગિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અર્થે કમિટીના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .

સ્થળ મુલાકાત પહેલા નવસારી જિલ્લા કલેકટર કચેરી સ્થિત સભાખંડ ખાતે ગાંધીનગરના સચિવો સાથેની વિડીયો કોન્ફરન્સમાં નવસારી જિલ્લાના અધિકારીઓ તથા નવસારી જીલ્લાના વિવિધ વિભાગોના વડાઓ હાજર રહી આ સંભવિત કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.