રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪: ધારાસભ્ય આર. સી. પટેલે જલાલપોર તાલુકા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
- Local News
- December 6, 2024
- No Comment
આજથી બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ધારાસભ્ય આર. સી. પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીના સેન્ટ્રલ સેન્ટ્રલ એકઝામિનેશન હોલમાં આયોજીત તાલુકા કક્ષાના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.પટેલે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખેતપેદાશોનો અને વિવિધ મિલેટ્સના મહત્વ વિશે જાણી તેને દૈનિક આહારમાં સામેલ કરવા આહ્વાન કર્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા સાથે મિશ્રપાક પદ્ધતિથી ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સરકારની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની વાત કરી હતી.
ધારાસભ્ય આર.સી.પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને સરકારની કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામક ડી. કે. પાડલીયાએ સ્વાગત પ્રવચન વેળા કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. તેમજ કૃષિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

રવિ કૃષિ મહોત્સવ મેળા અંતર્ગત અહીં વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ખેતીવાડી શાખા દ્વારા વિવિધ યોજનાઓ વિશે અને મિલેટ્સ પાકોની માહિતી આપતો સ્ટોલ, બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ વિશેનો સ્ટોલ, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેડૂતોના મિલેટ્સની પ્રોડક્ટ્સના અલગ અલગ સ્ટોલ, ફાર્મરરજીસ્ટ્રી અંતર્ગતસ્ટોલ, આયુર્વેદિક શાખાનો આયુર્વેદને લાગતો સ્ટોલ અને સહકારી સંસ્થા અને ખાનગી કંપની દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ અને કૃષિ યાંત્રિકીકરણના સ્ટોલ સહિત કુલ ૨૦ જેટલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જલાલપોર તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીલમબેન પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો,કૃષિ વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.