સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ
- Travel
- March 18, 2026
- No Comment
જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માંગો છો, તો હવે તમારે લાંબા આયોજન કે સમયના બગાડની ચિંતા કરવાની જરૂર નહીં રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના પ્રવાસન ધામોને જોડતા માર્ગોને અત્યાધુનિક બનાવવા અને અંતરિયાળ વિસ્તારો સુધીની પહોંચ સરળ બનાવવા માટે એક મોટો ‘બૂસ્ટર ડોઝ’ આપ્યો છે. સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજનાના પ્રથમ તબક્કા અંતર્ગત મુખ્યમંત્રીએ સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં વિવિધ માર્ગોના નિર્માણ અને અપગ્રેડેશન માટે ₹1185 કરોડની માતબર રકમ મંજૂર કરી છે. આ ઐતિહાસિક નિર્ણયથી માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતના પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી છે, જેના પરિણામે વર્ષ 2024માં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 14.85 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ગ્લોબલ ટ્રેન્ડની સાથે તાલ મિલાવતા ગુજરાત પણ પ્રવાસન ક્ષેત્રે વિશેષ ઉભરી આવ્યું છે અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં અત્યારે દેશભરમાં ત્રીજા ક્રમે બિરાજમાન છે. આ સફળતાને આગળ ધપાવવા માટે રાજ્ય સરકાર હવે પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે, જેમાં ખાસ કરીને સુરતના મોરા-સુવાલી બીચ રોડને ફોર-લેન બનાવવાની મહત્વકાંક્ષી યોજનાનો સમાવેશ થાય છે. સુવાલી બીચ હાલમાં પ્રવાસીઓ માટે હોટ-ફેવરિટ સ્પોટ બન્યું છે અને ત્યાં યોજાતા બીચ ફેસ્ટિવલને કારણે સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ માર્ગ પહોળો થવાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે અને સ્થાનિક રોજગારીની નવી તકો સર્જાશે.
ઐતિહાસિક વારસાને સાચવવાની દિશામાં પણ રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મહાત્મા ગાંધીની સ્મૃતિઓ સાથે જોડાયેલા ઐતિહાસિક અમદાવાદ-દાંડી હેરિટેજ રૂટ પર આવતા કદરામા, એરથાણ, ભટગામ અને સાંધિયેર જેવા ગામોને જોડતા રસ્તાને ત્રણ મીટરથી વધારીને સાત મીટર પહોળો કરવામાં આવશે, જેનાથી આ ઐતિહાસિક માર્ગ પર મુસાફરી વધુ સુગમ અને ઝડપી બનશે. તેવી જ રીતે, વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી પર નવા કોઝ-વે અને કોસ્ટલ હાઈવેના વિસ્તરણથી દમણ, ઉદવાડા અગિયારી અને ઉમરસાડી વોક-વે બ્રિજ જેવા સ્થળોએ પહોંચવું એકદમ આસાન થઈ જશે. હયાત 10 મીટરના રસ્તાને હવે ફોર-લેન હાઈવેમાં ફેરવવામાં આવશે, જે પ્રવાસીઓ માટે દરિયાકાંઠાની સફરને વધુ યાદગાર બનાવશે.
દક્ષિણ ગુજરાતનું ઘરેણું ગણાતો ડાંગ જિલ્લો પણ હવે પ્રવાસીઓ માટે વધુ નજીક આવશે. વઘઇથી આહવા જતો રાજ્ય ધોરીમાર્ગ જે શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા જેવા ધાર્મિક સ્થળો તેમજ સાપુતારા અને ડોન હિલ સ્ટેશન જેવા પ્રાકૃતિક સ્થળોને જોડે છે, તેને હવે ચાર-માર્ગીય કરવામાં આવશે. આ રસ્તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા સુધીના પ્રવાસન સર્કિટ માટે અત્યંત મહત્વનો સાબિત થશે. આ ઉપરાંત, ચીખલીથી ખેરગામ થઈને ધરમપુર જતા રસ્તાને પણ ચાર માર્ગીય કરવાની મંજૂરી અપાતા વિલ્સન હિલ અને ધરમપુરના રજવાડી વારસાને માણવા આવતા સહેલાણીઓ મિનિટોમાં પહોંચી શકશે. પ્રવાસન સ્થળોના આ સર્વાંગી વિકાસથી કેવડી ઇકો-ટુરીઝમ, પદમડુંગરી, વાંસદા નેશનલ પાર્ક અને ગીરા ધોધ જેવા સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડશે, જે અંતે સ્થાનિક આદિવાસી સમુદાયના આર્થિક ઉત્થાન અને ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરશે.