ઉતરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં ‘કરુણા અભિયાન ૨૦૨૬’ અંતર્ગત કાર્યશાળા યોજાઈ
- Local News
- January 6, 2026
- No Comment
નવસારી શહેરમાં આજ રોજ મહાનગરપાલિકા ટાઉનહોલ ખાતે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત એક મહત્વપૂર્ણ માર્ગદર્શક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બચાવવા, રેસ્ક્યુ સમયે કઈ સાવચેતી રાખવી, શું કરવું અને શું ન કરવું તેમજ ઘાયલ પક્ષીઓને આપવાની પ્રાથમિક સારવાર અંગે વેટનરી કોલેજ નવસારીના ડો. સૌરભ પરમારે વિસ્તૃત અને વ્યવહારૂ માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા ઉપલબ્ધ તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા, હેલ્પલાઇન નંબરો તથા સારવાર કેન્દ્રોના સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી.
આ અવસર પર નાયબ વન સંરક્ષક નવસારી ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુર પટેલ દ્વારા કરુણા અભિયાન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી તથા વનવિભાગ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે કૃષિ યુનિવર્સિટી નવસારીના એસોસિયેટ પ્રોફેસર ડો. જયેશ જેંદેએ માર્ગદર્શન આપ્યું હતું, જેથી નાગરિકો કાયદાની સમજ સાથે જવાબદારીપૂર્વક અને માનવતાભાવથી પક્ષીઓની મદદ કરી શકે છે
કાર્યશાળામાં નવસારી જિલ્લાના વિવિધ કોલેજો, શાળાઓ, એનજીઓ,સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કરુણા અભિયાન ૨૦૨૬ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવશે.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તરત જ ટોલ ફ્રી નંબરો ૧૯૨૬ અને ૧૯૬૨ પર સંપર્ક કરવો, તેમજ ૮૩૨૦૦૦૨૦૦૦ પર ‘Hi’ ટેક્સ્ટ અથવા મિસ્ડ કોલ આપી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે. ઉતરાયણના તહેવાર દરમિયાન માનવતા અને કરુણાભાવ સાથે પક્ષીઓની સુરક્ષા માટે સૌ નાગરિકો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.