શેરડીનાં પાકમાં સફેદમાખીનું નિયંત્રણ માટે ખેડૂતો કયો ઉપાઈ કરી તેના ઉપર નિયંત્રણ લાવી શકાય: કૃષિ યુનિવર્સિટી નવસારી
- Local News
- September 26, 2023
- No Comment
ચાલુ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં શેરડીના પાકમાં સફેદમાખીનો છૂટોછવાયો ઉપદ્રવ જણાયેલ છે. સફેદમાખીના બચ્ચા ફિક્કા પીળા રંગના લંબગોળ આકારના ચપટા હોય છે અને તેની ફરતે મીણ જેવા પદાર્થની સફેદ કિનારી જોવા મળે છે. પુખ્ત કિટક ખુબ જ ચપળ હોઈ સહેજ ખલેલ થતા ઉડી જાય છે. માદા કિટકને સોય જેવું પાતળું અંડનિક્ષેપક હોય છે તેના વડે તે શેરડીના ટોચનાં પાન પર હારબંધ મલાઈ રંગના ઈંડા મુકે છે. જે થોડા સમય પછી કાળાશ પડતો ચળકતો રંગ ધારણ કરે છે. નુકશાન પામેલા પાનો બચ્ચા તથા કોશેટાથી છવાયેલું જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછ લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કિટકનાં શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જે પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. જેથી વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સફેદમાખીનો ઉપદ્રવ સામાન્ય રીતે વરસાદ ખેચાવાના કારણે પાણીની અછત સર્જાયેલ હોય તેમજ જે ખેતરમા પાણીની નીતાર શક્તિ ઓછી હોવાના કારણે પાણીનો ભરાવો રહેતો હોય ત્યાં વધુ જોવા મળે છે. આ પરિબળોને ધ્યાને લેતા માલુમ પડે છે કે આગામી માસ દરમ્યાન શેરડીના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે.
ઓછા વિસ્તારમાં ઉપદ્રવ જણાય અને જૈવિક નિયંત્રક, એન્કાર્સિયા ઇસાકીની ગેરહાજરી હોય તેવા સંજોગોમાં શેરડીના ઉપદ્રવિત પાનોની કાપણી કરી નાશ કરવો. આ ઉપરાંત શેરડીના ખેતરોમાં સફેદમાખી ઉપર નભતા પરજીવી એન્કાર્સિયા ઇસાકીની હાજરી જણાય તો લીમડા આધારિત દવાઓ જેવી કે એઝાડીરેકટીન ૧૦૦૦૦ પીપીએમ, ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો આ દવાનો છંટકાવ કરવો ના હોય તો લીંબોળીનું તેલ ૫૦મી.લી. તથા ૫ ગ્રામ ડીટર્જન્ટ સાબુ પાવડર લઇ ૧૦ લીટર પાણીમાં ભેળવીને પણ છંટકાવ કરી શકાય.
આ ઉપરાંત ખેતરમાં પાણીની ખેંચ ન વર્તાય તેમજ પાણીનો ભરાવો પણ ન થાય તેની વ્યવસ્થા કરવા માટે કિટક્શાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .