આજે વિશ્વ ચકલી દિવસ: એક સમયે ઘરમાં આવી ચીં…ચીં… કરતી ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી 

આજે વિશ્વ ચકલી દિવસ: એક સમયે ઘરમાં આવી ચીં…ચીં… કરતી ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી 

ઘર ચકલી આંગણાની શ્રેણી માં આવતું એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે.ચકલી જે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી જાતિઓની યાદીમાં આવી ગઈ છે.આવો આપણે સૌ મળી ઘર ચકલી લુપ્ત થતી બચાવવા અને તેનું જતન સંવર્ધન કરવા આપણે સૌ આગળ આવીએ

વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ ચકલી પક્ષીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનો છે. વૃક્ષોની આડેધડ કાપણી, આધુનિક શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ચકલી પક્ષી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. એક સમય હતો જ્યારે ચકલીઓનો કિલકિલાટ લોકોને ઊંઘમાંથી જગાડતો હતો, પરંતુ હવે એવું નથી. તે એક પક્ષી છે જે મનુષ્યની આસપાસ રહેવાનું પસંદ કરે છે. ચકલી સંખ્યામાં સતત ઘટાડો એ ચેતવણી છે કે પ્રદૂષણ અને કિરણોત્સર્ગ પ્રકૃતિ અને માનવીઓને અસર કરી રહ્યા છે. તેથી આ દિશામાં કામ કરવાની જરૂર છે.

જેમ જેમ શહેરીકરણ વધતું ગયું અને ગામડાંઓ ઘટતાં ગયાં તેમ તેમ કોંક્રિટનાં જંગલો વધતા ગયા સાથે મોબાઇલ ટાવર અને સાથે જ ખેતરોમાં રસાયણો ચીજવસ્તુઓ ઉપયોગ દિવસે દિવસે વધ્યો જેના કારણ લુપ્ત થવાના આરે પહોંચી વર્ષો પહેલા ચકલીઓ જે ઘરનાં છાપરા ઉપર, નળીયાની બખોલમાં કે ઘરમાં લટકાવેલ ફોટો ફ્રેમ પાછળ જે માળો બાંધતી હતી એ બંધ થઈ ગયું સાથે શહેર માંથી ખોવાઈ અને ગ્રામ્ય વિસ્તાર ઓછી થઈ ગઈ તેને બચાવવા આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી રહી છે.

હવે તો શહેરોમાંથી ચકલીઓ લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં બાળકો ચકલીને માત્ર પુસ્તકમાં એક પ્રકરણ સ્વરૂપે જ જોઈ તેમજ સોશિયલ મિડિયા માધ્યમ જોઈ શકાશે. ચકલીઓ બચાવ જેમાં નવસારી શહેર સહિત વિશ્વ ભરમાં પક્ષી જુદી જુદી સંસ્થાઓ અને પક્ષી પ્રેમીઓ દ્વારા ચકલીઓ બચાવવા વિતરણ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે માળાઓ અને પાણી પોટ વિના મુલ્યે તેમજ તેના માટે ચણ ના ફીડર વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરમાં અદ્રશ્ય તેમજ શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં ઓછી થઈ ગયેલ ચકલીને ફરીથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો સહિત ચકલીઓ ઘરમાં કેવી રીતે બોલાવી શકાય તેનું જતન સંવર્ધન કરવા જુદા જુદા ઉપાય કરાઈ રહ્યા છે.

મહત્વનું છે કે, ઘર ચકલી આંગણાની શ્રેણી માં આવતું આ એક પક્ષી છે. ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો, ત્યાં આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો,આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું.

ચકલી આજે માણસોના કારણે જ અત્યારે આ લુપ્ત થતી જાતિઓની યાદીમાં આવી ગઈ છે. પંખીનું મહત્ત્વ સમજીને તેની જાળવણી કરવી જોઈએ. જેને પગલે સરકારી,અર્ધ સરકારી તેમજ સ્વૈચ્છીક સામાજિક સંસ્થાઓ સહિત ઘણાં લોકો આગળ આવી માળા અને વોટર પોટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.માનવ સમુદાયમાં આપણે આવીએ છીએ તેથી આવા જીવનું રક્ષણ કરવું એ આપણી પણ ફરજ છે. કારણ કે આપણામાંનો જ એક ભાગ આ પક્ષીઓ છે.

ચકલીની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ : એક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ ચકા ચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી. ચી. ચી. કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે.

ઘર ચકલી એટલે માનવ વસવાટનું સૌથી નિકટનું પક્ષી

ઘર ચકલીએ દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. જે વિશ્વભરમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બધે જ જોવા મળે છે. માનવ વસ્તી સાથે હળી-મળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત્ત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત કરી નાખે છે.

ચકલી વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારનાં નામથી ઓળખાય છે. દા.ત., હિન્દી ભાષી તેને ગોરૈયા,તામિલનાડુ અને કેરાલીયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચિમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર,પંજાબીઓ ચૈર ઇન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે.બાળપણમાં સૌથી પહેલા જોયેલું, ઓળખેલું તેમજ સવારના સમયે ચીં…ચીં…એવા ગુંજનાદ વડે વાતાવરણને ગુંજવી દેતું પક્ષી એટલે ચકલી જેના બાળગીતો, વાર્તાઓ ખૂબ જ પ્રચલિત છે.

એક સમયે વિશ્વભરમાં સૌથી વધારે જોવા મળતું આ પક્ષી આજે જ્યારે પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેની ઘટતી જતી સંખ્યા એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. વિવિધ પર્યાવરણીય સંગઠનો ના અહેવાલ મુજબ, ભારતમાં છેલ્લા દાયકા દરમ્યાન તેમની સંખ્યામાં ૬૦-૮૦% ઘટાડો નોંધાયો છે. વિશ્વભરમાં તેના આ ઘટાડાને લીધે તેને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(IUCN) ધ્વારા રેડ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યુ છે.

જેને ધ્યાનમાં લઈને લોકોમાં ચકલીના સંરક્ષણ માટેની જાગૃતતા વધે એવા ઉમદા હેતુથી ભારત સરકાર દ્વારા તેને વર્ષ ૨૦૧૨માં દિલ્હીનું રાજ્ય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું. લુપ્ત થતી ચકલીઓના બચાવ માટે નેચર ફોર એવર સોસાયટી અને દેશ તેમજ વિદેશમાં આવેલી સંવ્યસેવી વિવિધ સંસ્થાઓ જેવી કે BNHS (બોમ્બે નેચરલ હેસ્ટરી સોસાયટી), ઇકોસીસ ફાઉન્ડેશન (ફ્રાંસ), કોર્નેલ લેબ ઓફ ઓર્નીથોલોજી (USA), એવોન વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ (UK)ના સહયોગથી ૨૦મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે.

ચકલીનું જીવન ચક્ર, વર્તણુંક, વસ્તીમાં થતા સદંતર ઘટાડાના કારણો અને તેનું સંરક્ષણ વિગેરેની આ માહિતી આ પ્રમાણે :

કદ અને દેખાવ: ચકલી એક નાનકડું ૧૪ થી ૧૬ સે.મી. લંબાઈ ધરાવતું હલકા ભૂખરા કે સફેદ રંગનુ પક્ષી છે. તેની ચાંચ મજબુત અને પીળા રંગની હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની આસપાસ આવેલા કાળા ડાઘ પરથી કરી શકાય છે. નર ચકલીનાં માથાનો ઉપરી ભાગ, નીચેનો ભાગ અને તેના ગાલ ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા રંગના હોય છે. માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. લોકો નરને ચકલો અને માદાને ચકલીના નામથી ઓળખે છે.

ચકલીનું જીવન ચક્ર :ચકલીનાં ઈંડા લંબગોળાકાર, લીલાશ પડતા સફેદ રંગના અને તેના પર ભૂખરા રંગની છાંટ હોય છે. સામાન્ય રીતે ચકલી ૪ થી ૫ ઈંડા મૂકે છે. ઈંડા મુકવાની પ્રક્રિયા સામાન્ય રીતે વાતાવરણ, તેમજ માદાની ઉંમર તથા તેની પ્રજનન ક્ષમતા પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. તેના ઈંડા સેવનનો સમયગાળો ૧૧ થી ૧૪ દિવસનો હોય છે. ઈંડામાંથી નિકળતા બચ્ચાં સામાન્ય રીતે ૧૪ થી ૧૬ દિવસ સુધી માળામાં રહે છે. ચકલીનાં બચ્ચા સામાન્ય રીતે ચાર દિવસ બાદ પોતાની આંખો ખોલે છે.

અવાજ : ચકલી આખું વર્ષ ચીં…ચીં…જેવા અવાજનું વારંવાર પુનરાવર્તન કરતી હોય છે. જે ઓગષ્ટમાં ઓછું અને ઠંડી અને વરસાદના દિવસોમાં વારંવાર બંને જાતિઓ ચીં…ચીં…કરે છે. માદા નર સાથી વગર વધુ અવાજ કરે છે. મોટાભાગનાં અવાજો માળાના સ્થળ સાથે સંકળાયેલા હોય છે.

ખોરાક અને વસવાટ :ચકલીઓ અનાજના દાણા, ઘાસના બીજ, વૃક્ષના ટેટા જેવા નાના ફળો, ઇયળો, ફૂદા, વિગેરે ચીજવસ્તુઓ ખાતા હોય છે તેમ છતાં પોતાના બચ્ચાને પોષણ માટે મુખ્યત્વે જીવાતો જેવી કે મોલો અને ઇયળો ખવડાવે છે. શહેરો, કસ્બાઓ, ગામડાઓ અને ખેતરોની આસપાસ ચકલીઓ મોટેભાગે જોવા મળે છે. મનુષ્ય દ્વારા નળિયા, ઈંટ તેમજ લાકડા અને પતરા વાળા બનાવવામાં આવેલા ઘરોની આસપાસ રહેવાનું વધુ પસંદ કરે છે.

માળો બાંધવો: પક્ષીઓ સામાન્ય રીતે વૃક્ષોની બખોલમાં કે વૃક્ષો પર માળાં બનાવતા હોય છે. જ્યારે ચકલી માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળો બાંધે છે. ઘરની દીવાલોના બાકોરામાં, ઘરની અંદરની અભરાઈઓ, નળિયાં કે છાપરાં નીચેના પોલાણો, ટ્યુબલાઇટની પટ્ટીઓ કે ફોટો ફ્રેમની પાછળ પોતાનો માળો બનાવતાં હોય છે. ચકલીનો માળો મુખ્યત્વે ઘાસ, તણખલાં, રૂ, સળીઓ, દોરા વિગેરેનો બનેલો હોય છે. માળાના સ્થળની પસંદગી નર દ્વારા કરવામાં આવે છે. જ્યારે માળો નર અને માદા બંને સાથે રહી બાંધે છે.

વર્તણુંક : ચકલી મોટેભાગે સમુહમાં રહેનારુ પક્ષી છે. સંવનન ઋતુમાં નર માદાને આકર્ષવા ગીતો ગાય છે. જે સાંભળી માદા નરને પસંદ કરે છે અને ટોળાં વચ્ચે પણ એકબીજાને ઓળખી કાઢે છે. નર માળા માટેનું સ્થળ પસંદ કરી, ગીતો ગાઈને માદાને બોલાવે છે. જો માદાને સ્થળ પસંદ આવે તો નર આજુબાજું ઉડાઉડ કરે છે, તેમજ પોતાની પાંખો ધ્રુજાવે, પૂંછડી ઊંચી કરી ખુશી વ્યક્ત કરે છે. તેમનો માળો દૂર કરવામાં આવેતો દ્રઢ નિશ્ચય અને જોશથી ફરીથી માળો બનાવે છે. પોતાના માળાની નજીક આવતા બીજા પક્ષીઓથી બચાવ કરે છે. માદા ચકલીઓ ખોરાક અને વસવાટની જગ્યા પર નાના કદની હોવા છતાં નર ચકલી કરતાં વધારે પ્રભાવશાળી હોય છે તેમજ સંવનન ઋતુ દરમ્યાન ઘણી વાર નર માટે ઝગડતી પણ જોવા મળે છે.

નર ખુબ જ આક્રમક હોય છે જે અરીસામાં પોતાના પ્રતિબિંબને પોતાનો જ હરીફ સમજીને ચાંચ મારવાની વર્તણુંક સાથે સામાન્ય રીતે જોવા મળે છે. તેઓ શરીરને સ્વસ્થ રાખવા જૂંડમાં પાણીમાં તેમજ ધૂળમાં નહાવાનું પસંદ કરતી હોય છે. ચકલીઓ માંથુ ખંજવાળવા માટે પાંખો નીચેની તરફ નમાવીને પગ દ્વારા ખંજવાળે છે. ચકલીઓ પોતાના બચ્ચાને ચાંચમાં ખોરાક લાવીને ખવડાવતી હોય છે.

ચકલીઓ લુપ્ત થવાના કારણો :

કોઈપણ પક્ષી માટે તેનો રહેઠાણ અને ખોરાક છીનવી લેવામાં આવે તો તે નિશ:પ્રાય બની જાય છે. ચકલીના રહેઠાણ અને ખોરાક પર વિપરિત અસર પડવાના મુખ્ય કારણોમાં માનવીની રહેણીકરણીમાં આવેલો બદલાવ જેવો કે પહેલાના મકાનો માટી તેમજ ઈંટ દિવાલ વાળા, નળિયા, પતરા અને વાંસ ધરાવતા મકાનોની જગ્યાએ હવે સિમેન્ટ કોંક્રીટના મહાકાય બિલ્ડીંગોનું નિર્માણ તેના ખોરાકમાં જુવાર, બાજરી કે કમોદ કે જે ગામડામાં જ મળે, જુંડમાં રહેનારી ચકલીઓ ઝઘડવામાં મશગુલ હોય ત્યારે સહેલાઈથી પકડી શકાય છે જેથી તેઓ બિલાડી કે શિકારી પક્ષીનો ભોગ બનતા હોય છે.

ગ્લોબલ વોર્મિંગ કારણે વધુ પડતું તાપમાન, વધુ પડતું શહેરીકરણ, વૃક્ષોનુ છેદન, વધતું જતું પ્રદુષણ, ખેતપેદાશ વધુ લેવા માટે વપરાતી જંતુનાશક દવા અને રાસાયણીક ખાતરોનો વધુ ઉપયોગ તેમજ મોબાઈલ ટાવરના સુક્ષ્મ તરંગોને કારણે ચકલીની પ્રજનન ક્રિયામાં વિક્ષેપ પાડતા હોય એવું માનવામાં આવે છે.

સંરક્ષણ માટેના ઉપાયો:ઘરમાં નકામાં પડેલ પૂઠાના ખોખાંનો ઉપયોગ કરી ચકલી ઘર બનાવી શકાય. માટીના માળાં લાંબો સમય ચાલે એવા હોઈ તો  ચકલીને ઘર બનાવવા માટે વધુ અનુકૂળ રહે છે. માળામાં ૪ સે.મી ના વ્યાસ વાળું પ્રવેશદ્વાર એમાં ચકલીઓ જ પ્રવેશ કરી શકે, બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકશાન કરી શકતા નથી.

બિલાડી કે કૂતરા પહોંચી ના શકે એવી ઊંચી જગ્યાએ ગેલેરીમાં કે બારી બારણા નીચે દીવાલને અડીને ખૂણામાં માળો રાખવા જોઈએ. માળાં પર સીધો સૂર્ય પ્રકાશ કે વરસાદ પડે નહિ એની કાળજી લેવી જ્યાં પંખા લગાવેલ હોય ત્યાં માળા ન લગાવવા ધાન્ય ખોરાકમાં બાજરી, કાંગ, ચોખાની કણકી વગેરે નાના ધાન્ય નિયમિત પણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્યવસ્થા કરવી, માળામાં તણખલાં મૂકાવાનું શરુ કરે એટલે એનાથી દૂર રહેવું. વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય છે. પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ-છોડ રોપીએ.બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવીએ.

નથી જડતી ગમે ત્યાં હવે, હૈયે એને ડર સતાવે છે જતી વેળાએ લુપ્ત થઈ જશે, આવનારી પેઢી માટે પાઠયપુસ્તક માં છબી રૂપે રહી જઈશ, જોઈએ કોણ એનું ઘર બચાવે છે.

નોંધ: આ લેખન કાર્ય થકી ઘર ચકલીઓ વિશે જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. કદાચ ભૂલો કે લખાણમાં ક્ષતિ રહી હોય માફ કરવા વિનંતી.

આવો… આપણે સૌ સાથે મળી ફરી એકવાર ઘર ચકલીઓને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ફરી એકવાર લાવવાનો પ્રયાસ કરીએ 

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *