નવસારીના રામજી મંદિર ખાતે:એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો ૧૧ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરાઈ
- Local News
- June 21, 2025
- No Comment
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારીના રામજી મંદિર ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તથા નવસારી જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી નવસારીના રામજી મંદિરના પટાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ યોગ કાર્યક્રમમાં યોગ પ્રેમી,યુવાનો,મહિલાઓ,સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓઓએ તથા અધિકારીઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર આયોજિત ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગદિન ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સિંહ ફાળો રહ્યો છે. માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિ-મુનિઓની માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ‘યોગથી વ્યક્તિનો શારીરિક,માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે એમ જણાવી પ્રમુખે યોગને દૈનિક જીવન શૈલીનો ભાગ બનાવવી મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

૧૧ માં યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી લોકોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરી મેદસ્વિતા મુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃત કાર્ય હતા, જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં યોગાભ્યાસ કરીને નાગરિકોને નિરોગી રહેવાનો ‘ મેદસ્વિતા મુક્ત ગુજરાત ‘ ના અભિયાનને સફળ બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોગપ્રેમીઓ તથા ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિતના મહાનુભાવો તથા યોગપ્રેમીઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજના અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ,નવસારી પ્રાંત અધિકારી ડૉ જનમ ઠાકોર, પોલીસ અધિકારીઓ, યોગ શિક્ષકો અને યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના ઋષિ-મુનિઓની માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે: પ્રમુખ પરેશભાઇ દેસાઈ


