બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ:પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો
- Local News
- August 18, 2025
- No Comment
કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’ માટે ઇન્ડિયન નેશનલ થિયેટર તરફથી હર્ષવી પટેલનું સન્માન
ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર – આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ, મુંબઈ તરફથી વર્ષ ૨૦૨૫ નો પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ એનાયત થયો છે.
ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ મુંબઈ સ્થિત ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે ભવ્ય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે હર્ષવી પટેલે પોતાની સંવેદનશીલ અને આધુનિક અભિવ્યક્તિથી સભાનું મન મોહી લીધું અને પ્રેક્ષકોની કર તાળીઓ સહ ભરી પ્રશંસા મેળવી હતી.
શયદા એવોર્ડ યુવા કવિઓને એમના સાહિત્યસર્જન માટે અપાતા એવોર્ડ તરીકે ઓળખાય છે. વર્ષ ૧૯૯૭ થી શરૂ થયેલી આ એવોર્ડ પરંપરામાં હર્ષવી પટેલ પ્રથમ મહિલા કવયિત્રી છે જેમને આ એવોર્ડ મળ્યો છે, જે સમગ્ર નવસારી જિલ્લા અને ખાસ કરીને બીલીમોરા માટે ગૌરવની વાત છે.

આ એવોર્ડ માટે ઉદયન ઠક્કર, હર્ષ બ્રહ્મભટ્ટ અને હિતેન આનંદપરા જેવી પ્રતિષ્ઠિત સાહિત્યકારોની પસંદગી સમિતિ જોડાયેલી હતી. કાવ્યસર્જનના આધારરૂપ, હર્ષવી પટેલના તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’ ના આધારે તેમને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
આ અવસરે રાજશ્રી બિરલાના હસ્તે હર્ષવી પટેલને શયદા એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કાર રકમથી સન્માનિત કરવામાં આવ્યું છે.સાહિત્યના માધ્યમથી સમાજમાં ભાવનાત્મક સમજણ અને ભાષાની સુંદરતા પહોંચાડતી હર્ષવી પટેલનું કાર્ય યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.