સ્વચ્છ ભારત મિશન-શહેરીની ચિંતન શિબિર અને નિર્મળ ગુજરાત“મહાત્મા મંદિર, ગાંધીનગર મુખ્યમંત્રીના હસ્તે રાજ્યની ૮ મહાનગરપાલિકા તેમજ ૧૬ નગરપાલિકાને “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરાયા
- Local News
- September 26, 2025
- No Comment
સ્વચ્છતા સર્વેક્ષણ: નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત “અ” વર્ગની નગરપાલિકામાં નવસારી પ્રથમ ક્રમે રહ્યું
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ ભારત મિશન–શહેરીની ચિંતન શિબિર સાથે “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” વિતરણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અર્પણ કર્યા હતા. સાથે જ કુલ રૂ. ૧૮.૫ કરોડની પ્રોત્સાહક રકમ પણ એનાયત કરવામાં આવી હતી. સમારંભમાં “મારું શહેર, મારું ગૌરવ” અભિયાનનો લોગો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા સર્વેક્ષણ: નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત “અ” વર્ગની નગરપાલિકામાં નવસારી પ્રથમ ક્રમે રહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર તથા લોકલાડીલા સાંસદ સી.આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય ત્યારે જ વધુ સારું વિકાસ શક્ય બને છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા સહિતના અભિયાનો આજે સાચા અર્થમાં જન આંદોલન બની ચૂક્યા છે.
તેમણે ઉમેર્યું કે, વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાતમાં નાનામાં નાના નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવી એ સરકારની મુખ્ય જવાબદારી છે.૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના છે, તે પ્રસંગે “વિકસિત ગુજરાત” તરીકે ઉજવણી કરી શકાય તે માટે રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આત્મનિર્ભર ભારતની દિશામાં વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “મેક ઇન ઈન્ડિયા” અંતર્ગત દેશમાં બનેલી ચીજોનો ઉપયોગ કરવો એ જ સાચું સ્વદેશી છે. ઘરગથ્થુ વપરાશની દૈનિક વસ્તુઓમાં સ્વદેશી સામાન અપનાવવો એ આ અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી છે. તેમણે સૌને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહ્વાન કર્યું હતું.
શહેરી વિકાસ વર્ષને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રજાજનોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મોટું ભંડોળ ફાળવ્યું છે. તેનો ઉપયોગ કરી માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવવી દરેક શહેરની જવાબદારી છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજ જોષીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનથી ગુજરાતના શહેરો દેશવ્યાપી સ્તરે આગવું પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં “ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણ”માં રાજ્યના ૨૬ શહેરોને પ્રમાણપત્ર મળ્યું છે. જ્યારે ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫’માં ગુજરાતના શહેરોએ ૧૨,૫૦૦માંથી ૮,૧૦૦થી વધુ માર્ક્સ મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો છે.ગત વર્ષે આ ક્રમ આઠમો હતો.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસને જણાવ્યું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને અનુસરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં ‘સ્વચ્છ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. ત્યારથી ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ક્ષેત્રે આગવું નેતૃત્વ પૂરું પાડ્યું છે.
આ અવસરે ગાંધીનગરની મેયર મીરાબેન પટેલ,મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર રેમ્યા મોહન,રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારો,અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો જ શહેરોનો વધુ સારો વિકાસ થઈ શકે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ