ચીખલી તાલુકાના આલીપોર,દેગામ અને ચાસા ગામની કુલ ૯ શાળામાં કુલ ૧૪૬ બાળકોએ તથા આંગણવાડીના ૧૯ ભુલકાઓએ વિદ્યારંભ તરફ ડગલું માંડ્યું :કલેકટર અમિત પ્રકાશ યાદવ
- Local News
- June 12, 2023
- No Comment
આજે ૧૨મી જુનથી રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩-૨૪ કાર્યક્રમની શરુઆત થઈ છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લાના આલીપોર ગામના પ્રાથમિક બુનિયાદી શાળા ખાતેથી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવએ આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ચીખલી તાલુકાના આલીપોર, દેગામ અને ચાસા ગામની કુલ નવ શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલ વાટીકા, ધોરણ એક અને આંગણવાડીના કુલ ૧૬૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૧૯ જેટલા ભૂલકાઓને રમકડાંની કીટ આપી અને ચોકલેટથી મો મીઠું કરાવીને આવકાર્યા હતા તેમજ આંગણવાડીના બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવએ જણાવ્યું હતું કે, આજે શાળાઓમાં કન્યાની સંખ્યામાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેથળ સતત ચાલતી આવતી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના સતત પ્રયાસો છે .
વધુમાં કલેકટરએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત થવું ખુબ જરૂરી છે. વાલીઓએ પણ શાળામાં નિયમિત અંતરે શાળાની મુલાકાત લઈ પોતાના શાળાના અધ્યાપકો શિક્ષકોને સૂચનો આપવા જોઈએ. બાદમાં શાળાના વર્ગખંડોની મુલકાત લઈ સ્માર્ટ બોર્ડની સમજ બાળકોને આપીને પ્રોત્સાહિત કર્યા હતા સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
જિલ્લા કલેકટરએ કાર્યક્રમ સ્થળે શાળાના સ્કુલ મેનજમેન્ટ કમિટીના સભ્યોને શાળાના વિકાસ માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું સાથે કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત ગામના બાળકો સંદર્ભે આંગણવાડીના કર્મચારી સાથે ચર્ચા કરી સૂચનો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં સરપંચ, શાળાના આચાર્ય,પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, દાતાઓ, SMC(શાળા મેનજમેન્ટ કમિટી) નાં સદસ્યો, આગેવાનો શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.