શિક્ષક દિને શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
- Local News
- September 5, 2023
- No Comment
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુકત ઉપક્રમે આયોજીત ગુજરાત સરકાર જિલ્લા/તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરના અધ્યક્ષસ્થાને ગીતા મલ્ટીપર્પઝ હોલ, મણીનગર કેમ્પસ, ખારેલ ગણદેવા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના ત્રણ અને તાલુકા કક્ષાના બે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી શિક્ષકદિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

સમારોહમાં વિદ્વાન શિક્ષણવિદ્દ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષકના રૂપમાં અમૂલ્ય યોગદાનને યાદ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાની આગવી બુદ્ધિ-પ્રતિભાથી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી હતી.
આ અવસરે આહિરે શિક્ષકદિન બાળકોના ભાવિ અને જીવનનું ઘડતર કરી તેમાનામાં વિવિધ જીવનમૂલ્યોનું સિંચન કરનાર શિક્ષકની વંદના કરવાનો દિવસ હોવાનું જણાવી ઉમેર્યું કે, સાધુ એ શીલનો, ‘મા’ એ કરૂણાનો અને ગુરૂ એ જ્ઞાનનો પર્યાય છે. પરંતુ એકલો શિક્ષક જ શીલ, જ્ઞાન અને કરૂણાનો ત્રિવેણી સંગમ છે. શિક્ષક એ સમાજના ગુણાત્મક પરિવર્તનનો પાયો છે. ભૂતકાળમાં શિક્ષણ મેળવવા અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી, પરંતુ આજે રાજ્ય સરકારે ગામેગામ આંગણવાડી, ડિજીટલ શિક્ષણ આપતી શાળાઓનું નિર્માણ કરી ચારેકોર શિક્ષણને સુલભ બનાવ્યું છે.
વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસના અવસર પર આદર્શ શિક્ષક એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઇ ઉજ્જવળ કારકિર્દી ઘડવી જોઈએ એમ જણાવી પ્રમુખએ શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને શુભકામનાઓ આપી વિદ્યાર્થીઓને સુશિક્ષિત, સંસ્કારી અને સુસંસ્કૃત બનાવવાના તેમના પ્રયાસોને વધુ વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે, શિક્ષક’ એ ભાવિપેઢીનો શિલ્પકાર છે.શિક્ષક દ્વારા જ જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે. ગુરુના જ્ઞાન, પ્રેરણા અને પ્રયત્નોથી જ વ્યકિતનું વ્યકિતત્વ ખીલે છે. બાળકોના ચરિત્રનું ઘડતર શિક્ષક જ કરતાં હોય છે
શિક્ષક એક શિલ્પકારથી પણ ચડિયાતા કહેવાય કારણ કે શિલ્પકાર પથ્થરને કંડારીને માત્ર નિર્જીવ મૂર્તિઓ બનાવે જયારે શિક્ષક તો પ્રેમ, દયા, કરૂણા અને ગમા-અણગામા જેવી લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતઓને કંડારીને તેને સુંદર બનાવે છે. વ્યકિતના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય છે. જીવનમાં આવતા સંઘર્ષો સામે લડવામાં વ્યકિતને યોગ્ય શિક્ષક જ બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ અને શિષ્યની છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષકદિન બાળકોના ભાવિનું ઘડતર કરી સંસ્કાર સિંચન કરનાર શિક્ષકની વંદના કરવાનો દિવસ છે. જીવનમાં કંઈક સારૂ શીખવનાર સામાન્ય વ્યક્તિ પણ આપણો ગુરૂ છે. શાળા સમયના શિક્ષકોને શિક્ષક દિને અવશ્ય યાદ કરી આદરભાવ દર્શાવવો જોઈએ. સમાજમાં સંસ્કાર સિંચનનું કામ શિક્ષકો કરતાં હોય છે. તેઓ શિક્ષક દંપતિના સંતાન છે તેમ જણાવ્યું હતું. નવસારી આખા ગુજરાતમાં દરેક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે શિક્ષક દિન નિમિતે તમામને શુભકામના પાઠવી હતી.

આ વેળાએ પ્રમુખના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ-૧૦ અને ૧૨નું ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ, પ્રતિભા શાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શાલ, સન્માન, સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું. તેમજ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અદ્યન નિષ્પત્તિ પ્રશ્નબેંક પુસ્તિકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલે શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષા દર્શનાબેન પટેલ, પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.