
ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકર્પણ કરતા વન પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ
- Local News
- January 13, 2024
- No Comment
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહયા હતાં
આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલે ખેરગામ તાલુકાના છેવાડાના જામનપાડા ગામે માઉલી માતાજીના પ્રાંગણમાં પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, ઘણા સમયની લોકમાંગણી આજે સંતોષાય છે. પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખુબજ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભકતો અહી માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહી રસોડુ રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઇ શકશે.
પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે સ્વચ્છતા રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે.તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, દિકરીના જન્મ સમયે ૨૫ જેટલા સાગ વાવો. જેથી દિકરી લગ્નપ્રસંગમાં કામ આવશે. માઉલી માતાજીનું આ સ્થળ પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર ઉપવન અનેપંચવટી વિકાસ કેન્દ્ર ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કોઇપણ સામાજીક પ્રસંગ વખતે પંચવટી હોલ ખૂબ જ કામ આવશે. માઉલી માતા આદિવાસી સમાજની કુળદેવી છે. આ સ્થળે સારા સારા વૃક્ષોનો ઉછેર કરી, રળિયામણું બનાવામાં આવશે. જેથી પર્યટકો વારંવાર આ સ્થળની મુલાકાત માટે આવશે. ધારાસભ્યે વૃક્ષની મહત્તા વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે મુખ્ય વન સરંક્ષક ડો.કે.શશિકુમાર અને નાયબ વન સરંક્ષક ભાવનાબેન દેસાઇએ પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર વિશે ગ્રામજનોને જાણકારી આપવા સાથે વૃક્ષનું જતન કરી ગામને રળિયામણું બનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વન પર્યાવરણ મંત્રી અને મહાનુભાવોએ પવિત્ર ઉપવન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ માઉલી માતાજીના મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, વલસાડના નાયબ વનસંરક્ષક નિશા રાજ, રેંજ ફોરેસ્ટ ઓફિસરો, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે: વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ