‘સલામત સવારી’ નવસારીનું એસ. ટી ડેપો બન્યું મતદાન જાગૃતિનું કેન્દ્ર બિંદુ :“મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ” ના સ્લોગન સાથે સંકલ્પબધ બન્યા મુસાફરો
- Local News
- April 9, 2024
- No Comment
લોકશાહીનો અવસર એટલે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મત આપીને સહભાગી થવું, એ આપણા સૌની નૈતિક ફરજની સાથે એક લ્હાવો પણ છે. આજનો જાગૃત મતદાતા એ લોકતંત્રનો ભાગ્ય વિધાતા ગણાય છે. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત થઇ ચૂકી છે.
જે અન્વયે આગામી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ થનારી લોકસભા સામાન્ય ચૂંટણીમાં નવસારી જિલ્લામાં મહત્તમ મતદારો સહભાગી થાય તેવી આશય સાથે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર અને નવસારી એસ.ટી બસ ડેપોના સક્રિય પ્રયાસો દ્વારા મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતતા કેળવાઈ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના દિશા-નિર્દેશ મુજબ મતદાન જાગૃતિ લાવવાનો નવતર અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
નવસારી એસ.ટી. બસ ડેપોના સીની. ડેપો મેનેજર કે.એસ.ગાંધી દ્વારા એસટી ડેપો ઉપર આવતા તમામ મુસાફરોને જાગૃત કરવા મુસાફરીના પાસ પર “તા.૦૭ મેના રોજ અચૂક મતદાન કરે તથા “મતદાનથી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન કરીશ” નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ લગાવી સંદેશ પાઠવવામાં આવી રહ્યા છે.
લોકો સુધી રૂબરૂ પહોંચતા મુસાફરી પાસ પર લગાવેલા સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.અત્યાર સુધી કુલ-૮૪૩ મુસાફરી પાસ,વિદ્યાર્થી પાસ તથા રીઝર્વેશન ટીકીટ ઉપર “મતદાનથી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન કરીશ” નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ લગાવામાં આવ્યા છે.
નવસારી બસ સ્ટેન્ડ પર ‘હું મતદાર’ના સેલ્ફી પોઈન્ટ લગાવી લોકશાહીના અવસરની ઉજવણીમાં અનેક મુસાફરોને જોડી રહ્યા છે. નવસારી બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં મુસાફરો ‘હું મતદાન કરીશ’ના સેલ્ફી પોઈન્ટની મુલાકાત લઇ રહ્યા છે જેમાં જાગૃત નાગરીકો સેલ્ફી ફોટો પાડીને આવનાર લોકસભા ચૂંટણીમાં સહ પરિવાર અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લઈ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે .
આ ઉપરાંત નવસારી ડેપોના ડ્રાઈવરો અને કંડકટરો દ્વારાબસમાં મુસાફરી કરનાર લોકોને આગામી ૦૭ મી મેના રોજ મતદાન અવશ્ય કરવા માટે જાગૃતી અભિયાનમાં ૩૫૦થી વધુ કર્મચારીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી નવસારીના મુસાફરોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
‘દસ મિનિટ, દેશ માટે’ની નેમ સાથે નવસારી જિલ્લાના મત વિસ્તારમાં જન-જન સુધી મતદાનનો સંદેશો પહોચડવા નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. તેમજ સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં દરેક નાગરિકનો મત કીંમતી છે. ત્યારે “આવ્યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં.”ના સૂત્રને યાદ રાખીને મતદાતાઓ આગામી ૭મી મેના રોજ અવશ્ય મત આપીને લોકશાહીને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપે, તેવો જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ છે