
મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત
- Local News
- October 3, 2024
- No Comment
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાનીમાં 1926માં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક મુલાકાતના સ્મરણમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.
ગાંધીજીએ 1926માં ગુરુકુલની મુલાકાત દરમિયાન પોતાના સંદેશમાં ગુરુકુલને ઉદ્દેશીને બિરદાવતા લખ્યું હતું, ” આ ગુરુકુળ જોવાની મારી ઇચ્છા આજે પૂરી થઈ. હું ઇશ્વરનો આ માટે પાર માનું છું. ગુરુકુળની વૃદ્ધિ થાઓ આ ગુરુકુલમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મસેવક અને દેશસેવક બને તેવું હું ઈચ્છું છું.”
આ સંદેશ આજે પણ ગુરુકુલ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત છે. આને ધ્યાનમાં રાખીને 450થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તજી અને સહ-કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ વિદ્યાર્થીઓને સફાઈ અભિયાનને સતત જાળવવા અને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા.
આ પ્રસંગે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ‘ગાંધી’ ફિલ્મ બતાવવામાં આવી, જેથી તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોને સમજીને જીવનમાં અનુસરી શકે. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું અને વિદ્યાર્થીઓમાં સ્વયં શ્રમ અને સ્વચ્છતાના મૂલ્યો વિકસિત કરવાનો હેતુ જતાવ્યો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારી ઓની વિશેષ હાજરી રહી હતી અને તેમણે ગુરુકુલના આ પ્રયાસોની પ્રશંસા કરી.ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું