પ્રાકૃતિક કૃષિને લઈ નવું કદમ: આવનાર સમયમાં ગ્રામ પંચાયતમો સહાયક પ્રાકૃતિક કૃષિ સખીની નિમણુંક કરવામાં આવશે
- Local News
- October 7, 2024
- No Comment
નવસારીની ગ્રામ્ય વિસ્તારની કૃષિ સાથે જોડાયેલ ૩૯૨ સખીઓને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લી.ગાંધીનગર દ્વારા નવસારીના તમામ તાલુકામાં ૨૪ સપ્ટેમ્બર થી ૦૪ ઓક્ટોબર સુધી કૃષિ સાથે જોડાયેલા કુલ ૩૯૨ સખીમંડળની મહિલાઓને પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ મેનેજ, હૈદરાબાદ અને SPNF એસોસિએશન, ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ સન્દ્રભે ટેક્નિકલ સેશન દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તાલીમ લીધેલ બહેનોને આવનાર સમયમાં ગ્રામ પંચાયતમો સહાયક પ્રાકૃતિક કૃષિ સખીની નિમણુંક કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ જિલ્લામાં વધારી શકાય.

પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી તત્વોનાં ઉપયોગથી થતી ખેતી, પ્રાકૃતિક ખેતી એટલે સેન્દ્રીય ખાતરનાં ઉપયોગથી થતી ખેતી જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક તત્વોનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેનાથી જમીનનું બંધારણ સુધરે છે. સેન્દ્રીય ખાતરનાં ઉપયોગ વડે પ્રાકૃતિક ખેતીથી મેળવેલ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે. અને માનવ જીવન તંદુરસ્ત બને છે. સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેત પેદાશોની માંગ પણ વધી રહી છે ત્યારે બહેનો પ્રાકૃતિક ખેતી કરી ખેતપેદાશોના માર્કેટિંગ થકી આર્થિક ઉપાર્જન મેળવી પગભર થઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધી શકે તે માટે આવી તાલીમો ખરા અર્થે સખીમંડળની બહેનો માટે ઉપયોગી નીવડે છે.
