પ્રાકૃતિક કૃષિ આજની જરૂરિયાત:‘જગતના તાતને કહો ચઢાવે બાણ,હવે તો પ્રાકૃતિક કૃષિ એ જ કલ્યાણ માર્ગ
- Local News
- February 28, 2025
- No Comment
ખેડૂત માટે જળ, જમીન અને પર્યાવરણ બહુમૂલ્ય સંપત્તિ છે. તેનું જતન કરવું અતિ આવશ્યક છે. જો એક વખત આ ત્રણેય વચ્ચેનું નિયમન તૂટી જાય તો ખેડૂતને પસ્તાવાનો વારો આવે છે, કેમ કે ખેડૂત દ્વારા અપનાવવામાં આવતી જુદી-જુદી ખેતી પદ્ધતિઓ સીધી કે આડકતરી રીતે જળ, જમીન અને પર્યાવરણને સારી કે માઠી અસર કરે છે. આ માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ કરવાનો રહેતો નથી. આમ પ્રાકૃતિક ખેતી ખેડૂતોનું આર્થિક ભારણ ઓછું કરે છે. જમીન અને ખેડૂતનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
ખેતીપ્રધાન દેશ ભારતમાં હવે કૃષિ ક્ષેત્રે પણ બદલાવ લાવવાની આવશ્યક્તા ઉભી થઈ છે. એક બાજુ ખેડૂતોની ખેત ઉપજ વર્ષે તે જરૂરી છે. પરંતુ, બીજી બાજુ ખાતર અને દવાના અતિરેકને કારણે અનેક સમસ્યા ઊભી થઈ છે. પશુ-પક્ષી અને માણસ સહિત જીવમાત્રને ઝેરી રસાયણોને કારણે જીવના જોખમો ઉભા થયા છે. અનાજ, શાકભાજી, ફળ સહિત તમામ કૃષિ ઉત્પાદનોમાં ખાતર-દવાને કારણે ખતરનાક ઝેરી તત્વો જોવા મળે છે. પર્યાવરણને અસર થઈ છે. જમીનની ફળદ્રુપતાને નુકસાન થયુ છે. એટલે હવે ગાય આધારીત કુદરતી ખેતી પદ્ધતિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ- ૧૯૬૦ સુધી ભારતમાં માત્ર કુદરતી ખેતી જ થતી હતી. પરંતુ ત્યારબાદ વસતી વધારો તેમજ અન્ય સંજોગોના કારણે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વાપરવાની ભલામણ કરવામાં આવી. પરંતુ, હાલના સમયમાં કોઈ વિક્રેતાની ભલામણ, દેખાદેખી કે વધુ ઉત્પાદન લેવાના મોહમાં રાસાયણિક ખાતર અને દવાનો બેફામ ઉપયોગ થવાના કારણે જોખમ અત્યંત ભયાનક તબક્કે પહોંચી ગયું છે.

વળી, રાસાયણિક ખેતીના કારણે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે. ઉત્પાદન ખર્ચ વધી જવાથી ચોખ્ખી આવક ઘટી છે. સાથે સાથે હવા, પાણી સહિત પર્યાવરણમાં ઝેરી તત્વો જોવા મળી રહ્યા છે. આમ, રાસાયણિક ખેતી પદ્ધતિ સર્વે પ્રકારે રાષ્ટ્ર માટે નુકસાનકારક જ છે. જેના વિકલ્પમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) જ શ્રેષ્ઠ વિકલ્પ જણાય છે. કુદરતી ખેતીમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો કોઈ ખર્ચ નથી. એટલે જ તેને ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ પણ કહેવાય છે. આ સાથે જ દેશી ગાય આધારિત કુદરતી ખેતી અપનાવતા ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર એક ગાય દીઠ દર મહિને રૂ. ૯૦૦ ની સહાય કરીને પ્રોત્સાહન પૂરૂં પાડે છે. સરકારશ્રીની આ યોજનાનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરાયેલા પ્રયત્નો થકી આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજ્યા છે.આજે રાજ્યના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, પરિણામે પર્યાવરણનું જતન, આરોગ્યની સુરક્ષા, ગુણવત્તાસભર ઉત્પાદન તથા મહત્તમ ઉપજ મેળવવામાં પણ સફળતા મળી રહી છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કૃષિ ક્ષેત્રે બીજી હરિયાળી ક્રાંતિ લાવશે, તેમાં કોઈ શંકા નથી.