
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ:આત્મનિર્ભરતા થી આત્મસન્માન- લખપતિ દીદી વંદના: નવસારી જિલ્લામાં કોણ છે લખપતી દીદી?
- Local News
- March 6, 2025
- No Comment
દક્ષિણ ગુજરાતના ત્રણ આદિજાતી જિલ્લાઓ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા તંત્ર ૮૨ હજાર થી વધુ સ્વસહાયની મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં પ્રયત્નશીલ રહ્યા છે.
ભારત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા સશક્તિકરણ કરવાનો છે. નવસારી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન સખી બહેનોની મહેનત અને સમર્પણને સન્માન નિમિત્તે રાષ્ટ્રીયકક્ષાનો લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે. ત્યારે ચાલો આપણે જાણીએ લખપતિ દીદી છે કોણ?
લખપતિ દીદીએ સ્વસહાય જુથની મહિલા સભ્યો છે, ‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય આ મહિલાઓ તેમના આવકના ઉપલબ્ધ સ્ત્રોતોનો ઉપયોગ કરી જુદા જુદા સ્ત્રોત જેમકે, ખેતી, પશુપાલન વિગેરે સાથે જોડાઇ ટકાઉ આજીવિકા મેળવી માત્ર આવક જ નહી, પરંતુ પ્રેરણાદાયી સફર દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
સરકાર હાલ “લખપતિ દીદી” યોજના જેવી પહેલને સક્રિયપણે સંપૂર્ણ સમર્થન આપી રહી છે. આ પહેલમાં તમામ સરકારી વિભાગો/મંત્રાલયો, ખાનગી ક્ષેત્ર અને નાણાંકીય સંસ્થાઓમાં યોગ્ય રીતે સંકલન કરી જુદા જુદા પ્રકારની આજીવિકા પ્રવૃત્તિઓની સુવિધા પુરી પાડવા માઇક્રો પ્લાનિંગ કરી, તેના પર અમલીકરણ થાય તે મુજબનું આયોજન, અમલીકરણ અને દેખરેખ કરવામાં આવી રહેલ છે.
નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૮૨ હજારથી વધુ લખપતી દીદીઓ
નવસારી અને વલસાડ-ડાંગ સંસદીય મતવિસ્તારમાં દક્ષિણ ગુજરાતના 3 આદિજાતી જિલ્લાઓ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૨ હજારથી વધુ SHG સભ્યોને/મહિલાઓને લખપતિ દીદી બનાવવાની પ્રયત્નશીલ રહ્યા છે.
નવસારી જિલ્લામાં ૪૧,૦૭૭ લખપતિ દીદીઓ છે. જ્યારે વલસાડ જિલ્લામાં ૨૮,૧૮૪ લખપતિ દીદીઓ અને ડાંગ જિલ્લામાં ૧૩,૫૭૨ આમ ત્રણે જિલ્લા મળી કુલ- ૮૨,૮૩૩ લખપતિ દીદીઓ આપણા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છે.
આ દીદીઓ પશુપાલન, ખેતી (પ્રકૃતિક ખેતી સહિત), નર્સરી, ઉત્પાદન અને માર્કેટિંગ, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો વગેરે સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જુથના સભ્યોની કુલ આવકમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ મળેલ લાભનો પણ સમાવેશ થાય છે.
નવસારી જિલ્લામાં ૧૧૫૩૨ સ્વસહાય જૂથોમાં ૧,૧૬,૧૮૩ પરિવારો જોડાયેલા છે: પરિવારને મળે છે આજીવિકાનો આધાર
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૧૫૩૨ સ્વસહાય જૂથોની રચના કરી ૧,૧૬,૧૮૩ પરિવારોને જોડવામાં આવ્યાં છે. ૪૭૭ ગ્રામસંગઠન અને ૨૪ કલસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે. ૧૦,૧૬૯ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૯૯૯.૧૩ લાખ, ૩૧૪ ગ્રામ સંગઠનને ૨૬૪૪.૫૦/- લાખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને આ વર્ષે ૧૧૫૨૩ સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂ।.૫૧૯.૦૦ લાખ આપવામાં આવ્યા છે.
લખપતિ દીદી કોણ?
‘લખપતિ દીદી’ એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય
“લખપતિ દીદી” એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ) (દર મહિને આશરે રૂ.૮,૩૦૦) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.
લખપતિ દીદી યોજનાના ફાયદા:
• મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.
• નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.
• સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.
• મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.
લખપતિ દીદી યોજનાના ઘટકો:
લોનમાં વ્યાજ સહાય: યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.૫ લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.
રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ/ For All Women and Girls : Rights, Equality, Empowermentબધી મહિલાઓ અને છોકરીઓ માટે: અધિકારો, સમાનતા, સશક્તિકરણ” છે. લખપતિ દીદી યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાના આ ત્રણેય પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. લખપતિ દીદી જેવી અનેક મહિલાલક્ષી યોજનાઓના કરણે આજે લાખો બહેનો આર્થીક રીતે સધ્ધર બની છે ત્યારે આજે નવસારી જિલ્લાના વાસીબોરસી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં ઉપસ્થિત તમામ ‘લખપતી દીદીઓ’ સરકાર અને વડાપ્રધાનનો દિલથી આભાર વ્યક્ત કરશે.