મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ
- Local News
- September 29, 2025
- No Comment
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા
વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મીની વાવાઝોડા સાથે અતિભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાના કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું.અનેક HT-LT પોલ ધરાશાયી થયા હતા, ટ્રાન્સફોર્મરમાં ખામી ઊભી થઈ હતી અને વૃક્ષો વીજ લાઇન પર પડી જતાં વિતરણ નેટવર્ક ખોરવાયું હતું.
પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો. અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ અને આશરે ૪૦ કોન્ટ્રાકટર ગેંગોએ સતત દિવસ-રાત મરામત કામગીરી કરી હતી. ચીખલી,બિલીમોરા,વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને વાંસદા તાલુકા જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાની મશીનરી અને વાહનોની મદદથી વીજ પુરવઠાનું પુનઃસ્થાપન ઝડપી ગતિએ હાથ ધરાયું હતું.
જિલ્લામાં થયેલું નુકસાન
વલસાડ: ૧ HT પોલ, ૩૫ LT પોલ અને ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.
નવસારી: ૧૧૪ HT પોલ, ૧૩૦ LT પોલ અને ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૬,૭૫૪ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.
ડાંગ: ૧૯ HT પોલ, ૨ LT પોલ અને ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૮૨૦ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા:કુલ મળી ૧૩૪ HT પોલ, ૧૬૭ LT પોલ અને ૧૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થતા ૪૧,૮૪૦ જેટલા ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાતા હાલ મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.