પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ
- Local News
- February 11, 2026
- No Comment
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ચાંદની ચોક ખાતે આવેલી તેમની પ્રતિમા પર ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરીને તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કરસનભાઈ ટીલવાએ પોતાના ઉદબોધનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જીવનમૂલ્યો, રાષ્ટ્રપ્રેમ અને સંગઠન પ્રત્યેની તેમની અડગ નિષ્ઠાને ઉજાગર કરી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના સંબોધનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના સાદગીપૂર્ણ જીવન, “એકાત્મ માનવવાદ”ના સિદ્ધાંત અને “અંત્યોદય”ના વિચારને વિસ્તૃત રીતે રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચાડવાનો સંકલ્પ જ સાચી રાષ્ટ્રસેવા છે અને તમામ કાર્યકર્તાઓએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવું જોઈએ.

,કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપાના નવનિયુક્ત મહામંત્રી શાંતિલાલ પટેલ, મહામંત્રી ડો. લોચન શાસ્ત્રી સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ડો. લોચન શાસ્ત્રીએ કર્યું હતું.
અંતમાં તમામ કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી તથા તેમના વિચારોને આત્મસાત કરી રાષ્ટ્રસેવામાં અડગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.