મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬:નવસારી જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કુલ 9,66,231 મતદારોનો સમાવેશ
- Local News
- February 17, 2026
- No Comment
ભારતનો ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે નવસારી જિલ્લામાં તા. 17/02/2026ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થવા પહેલા નવસારી જિલ્લાના ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ 10,95,900 મતદારો નોંધાયેલા હતા.મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ આ સંખ્યા 9,59,337 રહી હતી. હવે પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદીમાં કુલ 9,66,231 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાત તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરી પોતાનું નામ આવનારી મતદારયાદીમાં નોંધાવી શકશે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ નાગરિકો ફોર્મ નં. 6, 7 અને 8 દ્વારા નામ ઉમેરવા, કાઢવા અથવા સુધારવા માટે અરજી કરી શકશે.

નામ ચકાસવા માટેની સુવિધાઓ:
મતદારો નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા પોતાનું નામ આખરી મતદારયાદીમાં ચકાસી શકે છે:
સત્તાવાર વેબસાઇટ: http://ceo.gujarat.gov.in
વોટર પોર્ટલ: voters.eci.gov.in
ECINET મોબાઇલ એપ
BLO (બૂથ લેવલ ઓફિસર)
જિલ્લા ચૂંટણી અધિકારી / ERO / AERO કચેરી
જો મતદારનું નામ યાદીમાં ન હોય તો ફોર્મ નં. 6 સાથે જરૂરી આધાર પુરાવા જોડીને ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકાય છે. યાદીમાં દર્શાવેલી વિગતોમાં ભૂલ હોય તો ફોર્મ નં. 8 દ્વારા સુધારો કરી શકાય છે, જ્યારે કોઈ વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સમયસર મતદારયાદી ચકાસી જરૂરી સુધારા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ યોગ્ય મતદાર મતાધિકારથી વંચિત ન રહે.