શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો
- Local News
- March 1, 2026
- No Comment
સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી, નવસારી) દ્વારા આ વર્ષનો પ્રતિષ્ઠિત ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ ગડતના જાણીતા તબીબ ડો. ગિરીશચંદ્ર ભીખુભાઈ નાયકને એનાયત કરવામાં આવ્યો છે.
સન્માન સમારોહ અને અતિથિ વિશેષ
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના સભાખંડમાં યોજાયેલા આ ભવ્ય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ડો. ગિરીશચંદ્ર નાયક માત્ર અનાવિલ સમાજનું જ નહીં પરંતુ સમગ્ર મેડિકલ ક્ષેત્રનું ગૌરવ છે.
સેવાભાવી વ્યક્તિત્વનો પરિચય
ડૉ. ગિરીશચંદ્ર નાયક (B.Sc., MBBS) છેલ્લા ઘણા વર્ષોથી ગણદેવી તાલુકાના ગડત અને આસપાસના વિસ્તારમાં એક સંવેદનશીલ અને સેવાભાવી તબીબ તરીકે જાણીતા છે. ટ્રસ્ટી સંદીપ દેસાઈએ તેમનો પરિચય આપ્યો હતો, જ્યારે મંત્રી રવિન દેસાઈએ સન્માન પત્રનું વાચન કર્યું હતું.
મહાનુભાવોના સંદેશ અને પ્રતિભાવ
આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ડો.લોચન શાસ્ત્રી અને નિવૃત્ત આચાર્ય દીપકભાઈ નાયક તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાકેશભાઈ દેસાઈ (ધારાસભ્ય): “મેડિકલ ક્ષેત્રમાં આજે યોગ્ય સલાહ આપનાર ડૉક્ટરોની જરૂર છે. ગિરીશભાઈ પ્રત્યે વિવિધ સમાજનો જે પ્રેમ છે તે જ તેમની સાચી મૂડી છે.”
હાર્દિક નાયક (મંત્રી): “સમાજને આજે સંપત્તિ કરતા સંવેદનશીલ સેવકોની વધુ જરૂર છે અને આવા સેવકોનું સન્માન કરવામાં વિલંબ ન થવો જોઈએ.”
પોતાના પ્રતિભાવમાં ડો. ગિરીશચંદ્ર નાયકે વર્ષોના પ્રેક્ટિસના અનુભવો અને વર્તમાન કોર્પોરેટ હોસ્પિટલ કલ્ચર વિશે રસપ્રદ છણાવટ કરી હતી. તેમના સહ-અધ્યાયી ડો. અશ્વિન વશીએ પણ ડો. નાયકના જીવનના વિવિધ તબક્કાઓની સ્મૃતિઓ તાજી કરી હતી.
પુરસ્કારનો ઇતિહાસ:
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ પુરસ્કાર આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ સન્માન મેળવનાર મહાનુભાવો:
યોગેશભાઈ નાયક (માનદ મંત્રી, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ)
પ્રા. જશુભાઈ નાયક (શુકલેશ્વર ટ્રસ્ટ, અનાવલ)
રમણભાઈ નાયક (વસંત ભૂમિ ટ્રસ્ટ, કસ્બાપાર)
કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ટ્રસ્ટી કેયુરભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી અને ગણદેવી પંથકમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
