
નવસારી જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧૨૫૯૫ અબોલ પશુ- પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી
- Local News
- October 7, 2023
- No Comment
ઘાયલ અને અબોલ જીવો માટે પણ ગુજરાત સરકારે શરૂ કરી છે એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ ડાયલ કરો અને તુરંત મેળવો નિ:શુલ્ક પશુ સારવાર
રાજયની સંવેદનશીલ સરકારે અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. અબોલ પશુ-પક્ષીઓનું તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે. પશુ-પક્ષીઓ માટે આરોગ્ય સંજીવની ગણાતી સરકારશ્રીની ૧૯૬૨ પશુ હેલ્પલાઈન સેવા સતત ખડેપગે તૈનાત છે. કરુણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નવસારી શહેરમાં કાર્યરત છે.
નવસારી જિલ્લાના બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવા નવસારી શહેરના અબોલા પશુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા છેલ્લા ૬ વર્ષમાં શ્વાન – ૭૫૨૦, ગાય -૪૧૨૮, બિલાડી – ૫૧૭, કબૂતર – ૨૫૦, વાંદરા- ૪૬, બકરી – ૧૩, પોપટ-૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૨૫૯૫ પશુ- પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કર્મચારી અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હોય છે. બિન વારસી પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા સેવાનો લાભ મેળવી શકાય છે.