નવસારી અને વલસાડ જિલ્લાના પીવાના પાણીની સમીક્ષા બેઠક મળી:જનપ્રતિનિધિઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લાવવાની ખાત્રી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
- Local News
- October 21, 2023
- No Comment
નવસારી અને વલસાડ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નો સંદર્ભે ત્વરિત તપાસ કરી હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ તેમણે પીવાના પાણીના સ્થાનિક પ્રશ્નો સંદર્ભે ગામના અગ્રણીઓ-જનપ્રતિનિધિઓના અનુભવનો લાભ મેળવી અને તેમની સાથે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ લાબાંગાળાની વિચારણા કરી અને પ્રાથમિકતાના ધોરણે આયોજન ઘડવા અધિકારીઓને જણાવ્યું હતું. જેથી પીવાના પાણીનો કાયમી ઉકેલ આવી શકે.
જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે તાલુકાના દરિયા કાંઠાવિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો અને જૂની ટાંકીને જગ્યાએ પાણીને સંગ્રહ કરવા માટે ફોર્સ થી પાણી પુરવઠા મોકલવાય તેવી માંગ રજૂ કરી હતી. જેનો મંત્રીએ હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ એ વાસ્મો યોજના બની ગઈ પરંતુ તેને કાર્યરત કરવામા આવી નથી તેવો પ્રશ્ન રજૂ કરતા તેના પ્રત્યુત્તરમાં મંમંત્રી સંબંધિત અધિકારીને ત્વરિત સ્થળ તપાસ કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય આર.સી.પટેલે જલાલપોર તાલુકામાં જૂથ યોજનામાં કેટલાંક ગામોને પાણી નહિં મળતા હોવાની અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના પ્રશ્ન રજૂ કરતા સંબંધિત અધિકારીઓને જાત તપાસ કરી ત્વરિત હકારાત્મક ઉકેલ લાવવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૂચના આપી હતી.
બેઠક દરમિયાન નવસારી અને વલસાડ જિલ્લાની પીવાના પાણીની યોજના, પ્રગતિ હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના, આયોજન હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના, પ્રગતિ હેઠળની યોજનાઓમાં જમીન ફાળવણીના પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં દક્ષિણ ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર તેજસ પરમાર, તેમજ વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યપાલક ઇજનેર અને વાસ્મોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.