નવસારી જિલ્લાના શૈક્ષણિક ઈતિહાસમાં ઠક્કરબાપા આશ્રમના ૫૧ વિદ્યાર્થીઓને સાયકલ તથા શૂઝ અર્પણ થયા.
- Local News
- October 21, 2023
- No Comment
નવસારીના છાપરા રોડ ખાતે આવેલ ઠક્કરબાપા આશ્રમ એ ચર્મોધોગ અને આદિવાસી બાળકોના છાત્રાલય માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણા અને રૂબરૂ મુલાકાત થી શરૂ થયો હતો.
ઠક્કરબાપા આશ્રમ ઉતાર – ચઢાવની પરિસ્થિતિ બાદ ત્રણ ચાર વિધાર્થીઓ રહી જતા બંધ થાય એવી દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવો ઐતિહાસિક આશ્રમ પૂર્વવત થાય તે માટે વલસાડના આગેવાન મહિલા અને તબીબ ડો. રાધિકાબેન ટિક્કુ, નવસારીના અગ્રણી કાર્યકર ગૌતમભાઈ મહેતા તથા બનાતવાલાના શિક્ષક રાજુભાઈ પરમારે ઝિંદાદિલ રસ દાખવતા હાલમાં અંદાજે ૫૦ વિદ્યાર્થીઓથી છાત્રાલય ધમધમતું થયું છે.

આ છાત્રાલયના બાળકો છાપરાથી બનાતવાલા હાઈસ્કૂલ પગપાળા આવતા જતા હતા અને અન્ય સુવિધાઓનો અભાવ હતો આથી ડો. રાધિકાબેન ટિક્કુ તથા ગૌતમ મહેતાએ ૫૧ બાળકોને પ૧ સાયકલ મળે તેવા પ્રયાસો આદરતા નવસારીના વતની એવા અમેરિકા સ્થિત એન. આર. આઈ. પરિવારોએ સાયકલ અને શૂઝ માટેનું સૌજન્ય દાખવ્યું છે.
આ સાયકલ અર્પણ વિધિ સમારોહ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલ, ગૌતમ મહેતા તથા ડો. રાધિકાબેન ટિક્કુના અતિથિ વિશેષપદે બનાતવાલા સ્કૂલના યજમાન પદે યોજાયો હતો. વિશેષ આમંત્રિત તરીકે ન્યુ ઈન્ડિયા પરિવારના હરિશ મંગનાની, અષ્ટગામ મંડળી પ્રમુખ પિયૂષભાઈ નાગરજી પટેલ, હીરા ઉદ્યોગ આગેવાન કમલેશ માલાણી તથા જયંતિભાઈ પટેલ ગુરુકુળ મંચસ્થ હતા.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલ ઠક્કરબાપા આશ્રમ ચેતનવંતો થશે તેવી જ રીતે ૮૦ વર્ષથી ચાલતી બનાતવાલા હાઈસ્કૂલ ફી વિના તમામને પ્રવેશ, યુનિફોર્મ, પગરખાં આપે છે એ માટે અભિનંદન સાથે બાળકો જો સંતોષકારક પરિણામ લાવે તો ધોરણ ૧૧ તથા ધોરણ ૧૨ની ગ્રાન્ટેડ વર્ગ મંજૂર કરવાની ખાત્રી આપી હતી.
આરંભે આચાર્યશ્રી સજ્જાદએહમદ શેખ દ્વારા સ્વાગત તથા ગૌતમ મહેતા, ડો. રાધિકાબેન ટિક્કુ વિગેરેએ પ્રાસંગિક શુભકામના અને એકઝીકયુટીવ ટ્રસ્ટી વાજીદહુસેન દરગાહવાલાએ ઋણસ્વીકાર કર્યો હતાં.