
“કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં સાહસિકતાની તકો”વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાનો તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે
- Local News
- December 18, 2023
- No Comment
તા.૧૮ ડિસેમ્બરથી તા.૨૦ ડિસેમ્બર સુધી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના નેતૃત્વ હેઠળ “કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં ઉદ્યોગ સાહસિકતાની તકો” વિષય પર રાષ્ટ્રીય કક્ષાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.
આ કાર્યક્રમમાં કૃષિ નિકાસ અને આયાત ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હીના નેજા હેઠળ, વિશ્વ બેન્ક દ્વારા અનુદાનિત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પરિયોજના (NAHEP) ના સેન્ટર ફોર એડવાન્સડ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CAAST) ના પેટા-પ્રોજેક્ટ હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દમણના વામા સ્કાયલાઈટ એલ.એલ.પી સી.ઈ.ઓ. શ્રી અભિષેક નાથાણી, અમદાવાદના ઈન્ટરનેશનલ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર; નિકાસકાર અને નિયામક, ઑ.ઇ. એસ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્લોબલ બિઝનેસ કન્સલ્ટિંગ, શ્રી પરેશ સોલંકી વિશેષ અતિથિ તરીકે આ રાષ્ટ્રીય તાલીમમાં ઉપસ્થિત રેહશે.
જયારે સંશોધન નિયામક એન.એ.એચ.ઈ.પી. (NAHEP) – કાસ્ટ (CAAST) પ્રોજેક્ટના વડા ડૉ. ટી. આર. અહલાવત, છ નિષ્ણાતો તાલીમમાં બાર વિશેષ વ્યાખ્યાનો આપશે. જેમાં ૩૦૦ થી વધુ સહભાગીઓને કૃષિ નિકાસમાં ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રીય સંપત્તિ નિર્માણ તેમજ ખેડૂતોના કલ્યાણમાં તેના યોગદાન પર ભાર મૂકશે.
તેઓ આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય તાલીમ દરમિયાન, કેવી રીતે ખેત પેદાશોની નિકાસ નવી નોકરીઓ, આવકની તકો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું સર્જન કરશે તેમજ ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોને લાભકારી નીવડશે તે વિશે માર્ગદર્શન આપશે.