વાંસદા નેશનલ પાર્કમા “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર”નું મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું
- Local News
- March 7, 2024
- No Comment
ગુજરાતમા વર્ષોથી વન્યપ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજયમાં વન્યપ્રાણીઓ જેવા કે સિંહ, દિપડા, કાળીયાર, ચિત્તલ અને ચોશિંગા વિગેરેનું જતન અને સંવર્ધન વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવે છે. હાલમાં જ વન્ય પ્રાણીઓની વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ્સો એવો વધારો જોવા મળ્યો છે.
દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. દિપડાઓની સંખ્યામાં વધારો થવાથી માનવજાત સાથે ઘર્ષણના બનાવો પણ ક્યારેક બને છે. જેના કારણે માનવ અને દિપડાને પણ ઇજા થાય છે. ક્યારેક આવા વન્ય પ્રાણી કુવામાં પડી જાય, રસ્તામાં અકસ્માત થાય, ત્યારે ધાયલ થતા હોય છે. આવા વન્ય જીવો માનવવસ્તીમાં આવી ચડે ત્યારે તેને બચાવની કામગીરી પણ વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવે છે

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક-નવતાડ ખાતે રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલા મેટીગેશન પ્લાન મુજબ વન્ય પ્રાણીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી ‘વન્યજીવ ટ્રીટમેન્ટ સેન્ટર’ કાર્યરત કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં વન વિસ્તાર વધારે પ્રમાણમાં છે. અહીંના વિભાગ હેઠળનો વન વિસ્તાર પણ મોટો છે. જેમાં વન્ય પ્રાણી પણ વધારે જોવા મળે છે, અને જયારે તેમને કોઇ અકસ્માત નડે અથવા માનવ ધર્ષણ થાય, કે અન્ય રીતે ઇજા થયેથી તાત્કાલિક રેસ્ક્યુ કરવામા, અને તાત્કાલિક સારવાર આપવામાં આ સેન્ટર મદદરૂપ થશે.

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે વાંસદા નેશનલ પાર્કમા પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા. જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે.

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાક્રિષ્ના પ્રસાદે “વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર” ની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી, વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમા પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે.

આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત,વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, આઈ.એફ.એસ સુરેશ મીના, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, એ.સી.એફ.આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક ફરિદા વળવી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતની સૌ પ્રથમ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ વાનને લીલી ઝંડી આપી કાર્યરત કરાઈ