નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ : નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી
- Local News
- September 10, 2024
- No Comment
ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે.
નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી,નવસારી તથા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલી તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી તા.૨૩/૦૯/૨૦૨૪ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. આ હુકમ જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, ફરજ પર તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહિ.

નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી :
નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક અસરથી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી શસ્ત્રો,દંડા,તલવાર,ભાલા,બંદુક,છરા,લાકડી,પથ્થરો, સ્ફોટક પદાર્થો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.