નવસારી જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઇ: જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવા પ્રભારી સચિવ કે.કે.નિરાલાએ કરેલી તાકિદ
- Local News
- March 28, 2023
- No Comment
નવસારી જિલ્લા પ્રભારી સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ, નવસારી ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવ કે.કે.નિરાલાએ પુરવઠા વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, આઈ.સી.ડી.એસ., નગરપાલિકા, કૃષિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આગોતરૂ આયોજન કરી, પાણી પુરવઠાની યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં કુપોષણની સ્થિતિ અંગેની ચર્ચા કરી સૌના સહયોગથી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રભારી સચિવએ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન, કોવિડ-૧૯ આયોજન તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, નાયબ વનસંરક્ષક નિશા રાજ, પ્રાયોજના વહીવટદાર નલવાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગઢવી, પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.