નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત કરાયો
- Local News
- April 24, 2023
- No Comment
સતત ત્રીજા વર્ષે બેસ્ટ એવોર્ડ મેળવનાર ફળ સંશોધન કેન્દ્ર ગણદેવી ગુજરાત અને દેશનું પ્રથમ સેન્ટર બન્યું છે.
નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વડા ડો અંકુર પટેલ જણાવે છે કે ભારતીય કૃષિ અનુસંધાન (ICAR) ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP on FRUITS) ફળની ૧૦મી વાર્ષિક ગ્રુપ ડીસ્કશન મીટીંગ તા. ૨૮ ફેબ્રુઆરી થી ૩માર્ચ, ૨૦૨૩ દરમ્યાન યોજાઇ હતી.
જેમાં દેશના વિવિધ ૫૦ ટ્રોપીકલ અને સબટ્રોપીકલ ફળ સંશોધન કેન્દ્રોની આખા વર્ષ દરમ્યાનની થયેલી કામગીરીનું મુલ્યાંક્ન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ ભારતીય કૃષિ અનુસંધાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હોર્ટીકલ્ચર ડો. આનંદ કુમાર સિંહ અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેકટ કો ઓર્ડીનેટર ડો. પ્રકાશ પાટીલના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૨ માટે “ બેસ્ટ સેન્ટર એવોર્ડ “ એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને “ બેસ્ટ સેન્ટર એવોર્ડ “એનાયત થયો હતો.

આમ ફળ સંશોધન કેન્દ્રને આખા દેશમાંથી સતત ત્રણ વર્ષથી એટ્લે કે હેટ્રીક બેસ્ટ સેન્ટર એવોર્ડ મળ્યો છે. જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. કોઈ એક સેંટરને સતત ત્રણ વાર બેસ્ટ સેન્ટર એવોર્ડ મેળવનાર ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ગુજરાતનું અને દેશનું પ્રથમ સેન્ટર છે. આ બાબતે ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીના કર્મચારી ગણ ડો. પી. કે. મોદી, ડો. કે. ડી. બિશને, પ્રો. કે. વી. મકવાણા તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા તરીકે ડો. અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે.
આ એવોર્ડ ગણદેવી કેન્દ્રને મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો ઝેડ.પી.પટેલ, સંશોધન નિયામક ડો તીમુર એહલાવત અને કુલસચિવ એચ.વી.પંડ્યા ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.