કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ, દહેજના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે ૧૬૦ લાખ અને શિક્ષણ ક્ષેત્રે ૩૮ લાખના સાધનોનું લોકાર્પણ કરાયું
- Local News
- June 21, 2024
- No Comment
આજરોજ ગણદેવી રોડ સ્થિત બી.આર.ફાર્મ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ, દહેજના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રા.ક. મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલયનું કામ ખુબ મોટું છે જેમા આપ સૌનો સાથ સહકારની જરૂર છે. તેમણે પોતાની આગવી રીતે ‘જલશકિતને જનશક્તિની જરૂર છે’ એમ જણાવી દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા આહવાન કર્યું હતું. તેમણે પાણી બચાવવાથી મોટૂં કોઇ સેવા કાર્ય નથી એમ ઉમેર્યું હતું.
વધુમાં દક્ષિણ ગુજરાત પાણીની દ્રષ્ટીએ સમૃધ્ધ પ્રદેશ છે. વૃક્ષોની સંખ્યા પણ પર્યાપ્ત છે પરંતું વૃક્ષોના નિકંદન થકી ક્લાઇમેટ ચેન્જની સમસ્યા વધી છે જેના માટે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવુ જોઇએ. જે પ્રમાણે સ્વચ્છ ભારત મિશનને નવસારી જિલ્લાની જાહેરજનતાએ અપનાવીને નવસારીને સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેર બનાવ્યું હતું, તેવી જ રીતે પાણીની જાણવણી કરી રેઇનવોટર હાર્વેસ્ટીંગ અપનાવી નવસારીને પાણીદાર બનાવીએ એમ કેન્દ્રિય મંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.

અંતે તેમણે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના સીએસઆર ફંડ થકી વિવિધ જરૂરીયાતમંદ બાબતોમાં સામાજિક ઉત્થાનમાં મદદરૂપ બન્યા છે. કોરોના કાળમાં પણ જ્યારે ઇન્ડસ્ટ્રી બંધ હતી ત્યારે કંપનીએ સ્વયં નાગરિકોને અનાજ પહોચાડવામાં મદદ કરી હતી એમ ઉમેરી કંપનીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના વિવિધ પ્રતિનિધિઓને કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સાધન સહાય અર્પણ કરાયા હતા.
કેન્દ્રીય કેબીનેટ મંત્રી જલ શક્તિ સી.આર.પાટીલ વરદ્ હસ્તે આરોગ્ય ક્ષેત્રે ૧૬૦ લાખ અને શિક્ષણ ક્ષેત્રે ૩૮ લાખના સાધનોનું લોકાર્પણ કરાયું.
આરોગ્ય ક્ષેત્રે : ૧૬૦ લાખનું યોગદાન:
ચીખલી : સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નવજાત શિશુઓની સારવાર માટે NICU વોર્ડનાં અદ્યતન ઉપકરણો
બીલીમોરા : જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગ માટે એક્સ-રે મશીન તેમજ લેબોરેટરી વિભાગ માટે મશીન સહીત અદ્યતન ઉપકરણો
ગણદેવી CHC : ઓર્થોપેડિક વિભાગ માટે એક્સ-રે મશીનની CR સીસ્ટમ સાથે ડિજીટલ પ્રિન્ટર & 125 KV જનરેટર મશીન
વાંસદા : કોટેજ હોસ્પિટલ ગાયનેક વિભાગ માટે સોનોગ્રાફી મશીન
માંડવી સુરત : તેજસ આઈ હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે સેન્ચ્યુરિયન ફેકોઈમલ્સિફિકેશન સિસ્ટમ મશીન
શિક્ષણ ક્ષેત્રે : ૩૮ લાખનું યોગદાન:
માનવ કલ્યાણ ટ્રસ્ટ: નવસારી સહિત અન્ય જિલ્લા ના મુકબધિર બાળકો ને માટે અભ્યાસ તેમજ અન્ય ઈતર પ્રવૃત્તિઓ થકી સમાન્ય માનવીઓ જેમ Education For All અંતર્ગત સ્માર્ટ ક્લાસની પહેલ અન્વયે સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ લેબ વિગેરેની અર્પણ કરાયા હતા.
કાર્યક્રમમાં જીસીપીએલના મેનેજીંગ ડાયરેક્ટર હેમંતભાઇ દેસાઇએ ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ,દહેજની વિવિધ કામગીરી અંગે સૌને અવગત કરાયા હતા.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ ગણદેવી, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત વિવિધ પદાધિકારીઓ,માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને મુકબધિર બાળકો સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.