રોટરી ક્લબ ગણદેવીના રજત પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી
- Local News
- January 2, 2025
- No Comment
રોટરી ક્લબ ગણદેવીના રજત પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવીત્અનાવિલ વાડી ગણદેવી ખાતે દોઢ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં પૂજ્ય ડૉ.જ્ઞાન વત્સલ સ્વામીના સાંનિધ્યમાં ગણદેવી વિભાગની અગ્રગણ્ય તથા આંતરરાષ્ટ્રીય સેવાસંસ્થા રોટરી ઇન્ટરનેશનલના એકમ, એવી રોટરી ક્લબ ઓફ ગણદેવીની સ્થાપનાના પચીસ વર્ષ પૂર્ણ થયાના અવસરે સિલ્વર જ્યુબિલિ અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એનવાયરો કંટ્રોલ પ્રા. લિ. સુરતથી ડૉ. નિમેષભાઈ વશી ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પચીસ લાખ રૂપિયાની સહાય કરવા માટેની યોજના જાહેર કરી હતી. અતિથિવિશેષ તરીકે ડિસ્ટ્રીકટ ગવર્નર તુષારભાઈ શાહ અને એન. જે. ઇન્ડીયા ઇનવેસ્ટમેન્ટના શ્રી જીજ્ઞેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય વક્તા તરીકે સ્વામીજીએ સેવાના વિષય સાથે અદભુત વક્તવ્ય રજૂ કરીને લોકોને અભિભૂત અને મંત્રમુગ્ધ કર્યા હતાં. ક્લબ પ્રેસિડેન્ટ પરિમલ આઈ. નાયકે સૌને આવકારીને ક્લબની સ્થાપનાકાળની વાત રજૂ કરી ક્લબની સેવાયાત્રાની ઝાંખી કરાવી હતી.

પ્રેસિડેન્ટ દ્વારા ચાલુ વર્ષે ક્લબના સ્થાપક પ્રમુખ સ્વ. અમરતભાઈ નાયકની સ્મૃતિમાં રોટરી ફાઉન્ડેશનમાં કાયમી ફંડ અંકિત કરીને તેમના યોગદાનને ચિરસ્મરણીય બનાવી ક્લબ દ્વારા અંજલિ આપવાની પણ પ્રેરક જાહેરાત કરી હતી. ગ્રાન્ટ ચેરમેન પરિમલ ડી. નાયકે ક્લબના પ્રોજેક્ટની વિગતો રજૂ કરી સ્થાપક પ્રમુખ સ્વ. અમરતભાઈ નાયક, સ્થાપના સમયે અને ગ્રાન્ટના પ્રોજેક્ટ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર સ્વ. ડૉ. હસુભાઈ નાયક, ગણદેવી સંઘના તત્કાલીન પ્રમુખ સતીષમામા તથા સ્થાપક મંત્રી યોગેશભાઈ નાયકને યાદ કર્યા હતાં.

આ તકે ક્લબના મુખ્ય દાતાઓ પૈકી પરિતોષ નાયક અને ઉમંગ નાયકના દાનોની વિશેષ નોંધ લેવામાં આવી હતી તથા ક્લબના પ્રોજેક્ટની વિગત રોટે.અશ્વિન પટેલે રજૂ કરી હતી. ક્લબના મોભી અને સહકારી અગ્રણી સતીષચંદ્ર નાયક અને ગ્રાન્ટ ચેરમેન પરિમલ ડી.નાયકનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે ક્લબના રજત પર્વની ઉજવણી પ્રસંગે સોવેનિયર ‘રજતચક્ર’ના મુખપૃષ્ઠનું વિમોચન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં જશવંતરાય લાલભાઈ નાયક તથા ડૉ.સ્વ. મધુરિકાબેન જશવંતરાય નાયકના નામકરણ સાથે ન્યુરોફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ક્લબના ભાવિ પ્રોજેક્ટ યુથ સેન્ટર માટે ભૂમિદાન આપવાની જાહેરાત કછોલીના નિમેષ નાયક તરફથી કરવામાં આવી હતી. એચ.પી.વી. વેક્સિનેશન ડ્રાઇવ માટે વધુ પંદર લાખના દાનની જાહેરાત કરીને આગામી સમયમાં વધુ ૫૦૦ દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી મૂકવાની પણ જાહેરાત કરી હતી. આભાર વિધિ તુષારભાઈ વશીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન પટેલે કર્યું હતું. વિભાગમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ, દાતાઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.