અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના સર્જાતા: અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહાર પર અસર:નવસારી સ્ટેશને થી મુંબઈ તરફ જતી ત્રણ ટ્રેનો રદ,બે ટ્રેન 2થી 3.5 કલાક મોડી ચાલી રહી છે
- Local News
- March 24, 2025
- No Comment
અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક ગતરોજ રાત્રી દરમિયાન બુલેટ ટ્રેનના પિલર મૂકવામાં આવેલી વિશાળ ક્રેન અચાનક કોઈક કારણોસર ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઇસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ધટનાને પગલે દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારમાં અસર પડી છે.આ ઘટનાને કારણે નવસારીથી મુંબઈ જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે.
નવસારી સ્ટેશનેથી મુંબઈ તરફ જતી ત્રણ મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરવામાં આવી છે. આમાંઅમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ,અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર અને ગુજરાત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસ સાડા ત્રણ કલાક અને અજમેર-દાદર એક્સપ્રેસ બે કલાક મોડી દોડી રહી છે.આ સ્થિતિને કારણે દરરોજ રેલ્વે પાસહોલ્ડર વર્ગ તેમજ સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલવે અધિકારીઓ પણ ટ્રેન વ્યવહાર ક્યારે સામાન્ય થશે તે અંગે કોઈ ચોક્કસ સમય જણાવી શકતા નથી. અમદાવાદ-મુંબઈ ડાઉન ટ્રેકની ટ્રેનો રદ થવાથી નવસારી મુંબઈ તરફ જતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ટ્રેન સેવાઓ પુનઃ શરુ થાય ત્યાં સુધી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા તથા યોગ્ય માહિતી મેળવવા માટે રેલવે તંત્ર સાથે સંપર્કમાં રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.મુસાફરોને સમયસર ટ્રેન ન મળતા ટ્રેન સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. અનેક મુસાફરોને તેમના કામકાજમાં વિલંબ થતા પસ્તાવો થયો છે.તેમજ ઘણાં મુસાફરો મુસાફરી રદ કરવાની ફરજ પડી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલા કામ દરમિયાન આવી ઘટનાઓથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત ન થાય તે માટે ભવિષ્યમાં કડક સુરક્ષા પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. તેમજ રેલવે તંત્ર આ સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા પ્રયાસ કરે તેમ પણ રેલ્વે મુસાફરી કરનાર મુસાફરો કહી રહ્યા છે.