ઉત્તરાયણ દરમિયાન અબોલા પક્ષીઓના રક્ષણ માટે નવસારીમાં કરુણા અભિયાન ૨૦૨૬ શરૂ
- Local News
- January 13, 2026
- No Comment
નવસારી જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓ અટકાવવા તથા ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર દ્વારા તેમનો જીવ બચાવી શકાય તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ થી તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરુણા અભિયાન–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં આ અભિયાન સામાજિક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત સહકારથી અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.
https://youtu.be/bIO8QPsNXVk?si=ISPkUWzskqrxgR3h
પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની મદદ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ, રેસ્ક્યૂ ટીમો તથા એનિમલ હસબન્ડરી દવાખાનાની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી શકે.

આજરોજ કરુણા અભિયાન અંતર્ગત નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ ઉષાબેન પ્રજાપતિ, સુપા રેન્જના આર.એફ.ઓ હીનાબેન પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ શાંતાદેવી રોડ સ્થિત મહાવીર કરુણા મંડળ, રેસ્ક્યૂ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તેમજ ઓપરેશન થિયેટરની મુલાકાત લઈ તેનું ખુલ્લું મુક્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ સામાજિક વનીકરણ વિભાગ અને એનજીઓના સંયુક્ત પ્રયાસોથી ઉત્તરાયણ દરમિયાન ગગનમાં વિહરતા પક્ષીઓના બચાવ માટે થઈ રહેલા કાર્યને બિરદાવ્યું હતું. ત્યારબાદ જલાલપોર લીમડા ચોક ખાતે આવેલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારી સંચાલિત બર્ડ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત લઈ યાયાવર ગણાતા પેઈન્ટેડ સ્ટોક પક્ષીઓની આખી કોલોનીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જિલ્લામાં કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી નજરે પડે તો તાત્કાલિક સંપર્ક કરી માનવતા દાખવે.
તાલુકા કક્ષાએ કાર્યરત સારવાર કેન્દ્રો અને સંપર્ક નંબર
કરુણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત વનવિભાગ દ્વારા તાલુકા કક્ષાએ નીચે મુજબના સારવાર અને રેસ્ક્યૂ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે:
નવસારી સુપા રેન્જ
ભગવાન મહાવીર કરુણા મંડળ, શાંતાદેવી રોડ, નવસારી સંપર્ક: જૈનમ મહેતા ૯૪૦૮૧ ૮૯૬૯૭
રેસ્ક્યૂ એન્ડ રેહાબ ફાઉન્ડેશન સંપર્ક: પાર્થ વશી – ૯૬૨૪૦ ૦૧૦૦૬
શ્રી પાર્શ્વ ભક્તિ મંડળ, સેન્ટ્રલ બેંક મધુમતી, નવસારી સંપર્ક: શ્રી કેવળ શાહ ૭૪૦૫૦ ૩૫૦૩૧
એનીમલ સેવિંગ ગ્રુપ,શિવાજી ચોક,વિજલપોર સંપર્ક: બ્રિજેશ સખીવાલા ૯૬૦૧૮ ૪૪૯૯૪
વાઈલ્ડલાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ નવસારી,લીમડા ચોક,જલાલપોર સંપર્ક: ચિંતન મહેતા ૯૯૭૮૦ ૧૬૩૩૧
એનીમલ સેવિંગ સોસાયટી, મરોલી બજાર સંપર્ક:તરંગ શાહ ૯૮૯૮૨ ૨૧૧૨૭
વાઈલ્ડલાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન, એરુ ચાર રસ્તા, નવસારી સંપર્ક: ભાવેશ પટેલ ૯૮૨૫૬ ૬૯૭૧૨૩
ગણદેવી રેન્જ
વાઈલ્ડલાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન, બીલીમોરા ફાયર સ્ટેશન સંપર્ક: ભાવેશ રાઠોડ ૭૦૧૬૧ ૯૯૬૫૮
ઉપરાંત રાજ્યભરમાં ૧૯૬૨ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાય છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લાના નાગરિકોને કરુણા અભિયાન–૨૦૨૬ને સફળ બનાવવા માટે ઘાયલ પક્ષી નજરે પડતાં સત્વરે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.